અરધી સદીની વાચનયાત્રા - 3

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

'અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ને બીજા ભાગની મળીને પોણો લાખ નકલો બેએક વરસ દરમિયાન છપાઈ છે. આ ત્રીજો ભાગ ઉમેરાતાં લગભગ 2,000 પાનાંનું વાચન ‘અરધી સદીની વાચનયાત્રા’માં સમાવેશ પામ્યું છે. પહેલા ભાગમાં મોટા ભાગનાં લખાણો એક પાનાનાં કે તેથીય નાનાં હતાં. બીજા ભાગમાં બે કે વધુ પાનાંવાળાં લખાણોનું પ્રમાણ થોડું વધ્યું હતું. ત્રીજા ભાગમાં કેટલાંક લખાણો વધુ લાંબાં પણ આપ્યાં છે. પાંચ પાનાંનાં કે તેથી મોટાં લખાણો પંદરેક થાય છે. ત્રણેય ભાગનાં લગભગ તમામ લખાણો ટૂંકાવેલાં છે. તેમાં એક અપવાદ આ વખતે આવે છે. સેંકડો લખાણોના સંક્ષેપ કર્યા છતાં શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના ‘વખાર’(પાનું 71)માં કશો સંક્ષેપ હું કરી શક્યો નથી. સિતાંશુભાઈને સલામ! એવાં લખાણો આપણને વધુ ને વધુ મળતાં રહો. સૌથી લાંબો, 13 પાનાંનો લેખ થયો છે શ્રી અમૃતલાલ વેગડનો. એમના પુસ્તક ‘સ્મૃતિઓનું શાંતિનિકેતન’માંથી વિવિધ પ્રકરણો જુદા જુદા લેખરૂપે આપી શકાય, પણ અહીં તે સામટાં લીધાં છે. એ પુસ્તક મને બહુ ગમી ગયું છે. શ્રી વેગડને પણ સલામ! હમણાં ગણતરી કરતાં ખ્યાલ આવ્યો કે ‘અરધી સદીની વાચનયાત્રા’ના ત્રણ ભાગમાં લગભગ 300 પુસ્તકોના અંશો રજૂ થઈ શક્યા છે. તેનો સ્વાદ ચાખ્યા પછી કેટલાંક મૂળ પુસ્તકો વાંચવાની હોંશ વાચકોને થશે, એવી આશા છે. તેના અનુસંધાનમાં શ્રી રામનારાયણ વિ. પાઠકના એક લેખનો અંશ અહીં પાના 561 પર છે, તે ધ્યાનમાં લેવાની વિનંતી વાચકોને કરું? સાથે સાથે કેદારનાથજીનાં આ વચનો પણ મૂકી શકાય : “વાચનથી માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને વિલીન થઈ જતી હોય, તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃદ્ધિ થતી ન હોય, અને તે પ્રમાણે આચરણ ન થતું હોય, તો એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.” હવે, ઇન્શાલ્લાહ, ચોથો ભાગ 2006માં.

-મહેન્દ્ર મેઘાણી

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

મહેન્દ્ર મેઘાણી ગુજરાતી પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. તેઓ જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક મિલાપના સ્થાપક તંત્રી હતા.

તેમનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો. મહેન્દ્રભાઈએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર ખાતે લીધુ હતું. ત્યારપછી ૧૯૪૨માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈ સ્થંળાતર કર્યુ હતું અને હિંદ છોડોની લડત દરમ્યાન અભ્યાસ અધુરો છોડ્યો હતો. ૧૯૪૮માં તેઓ પત્રકારત્વનાં અભ્યાસ માટે અમેરીકાની કોલંબીયા યુનિવર્સિટી ગયા હતા.

મહેન્દ્રભાઈએ તેઓની કારકિર્દીની શરુઆત ગુજરાતી દૈનિક નૂતન ગુજરાત માટે લેખમાળા લખીને કરી હતી.૧૯૫૦માં તેઓએ મિલાપ સામયિકની શરુઆત કરી હતી જે તેઓએ ૧૯૭૮ સુધી ચલાવ્યુ હતું.૧૯૫૩માં તેઓએ તત્કાલીન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સોવીયેટ યુનીયન,પોલેન્ડ અને યુગોસ્લાવીયાનો પ્રવાસ કર્યો હતો. ૧૯૬૯નાં વર્ષમાં ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શનોનું આયોજન કરી ભારતીય પુસ્તકો અને ગાંધીજીના વિચારોનો પ્રચાર કર્યો હતો. ૧૯૭૨ની સાલથી લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓએ ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકોને સસ્તા ભાવે પ્રકાશીત કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા હતાં. આ ઉપરાંત ૧૯૮૮ની સાલથી તેઓએ જાણીંતા પુસ્તકોનુ સંક્ષીપ્તીકરણ કરીને ૧૦૦ જેટલા પાનાઓની પુસ્તીકાઓ પ્રકાશીત કરીને અતીઅલ્પ ભાવે આપીને લોકોમાં વાંચન વધારવાનો પ્રયાસ કર્યો હતો.

તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે થયુ હતું.