ભવનું ભાતું

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

ભવનું ભાતું - યાદગાર વાચન : ‘મિલાપ’: 1965

છાપેલા શબ્દોનો જે પ્રવાહ સામયિકોમાં વહેતો રહે છે, તેમાંથી જરાક જેટલું ઉત્તમ તારવીને જાળવી રાખવાનો પ્રયાસ ‘મિલાપ’ માસિક (1950-1978) કરતું. પણ અંતે તો એ પોતે પણ એક સામયિક જ ને? એનાં તારવેલાં લખાણોયે પાછાં કાળના પૂરમાં તણાવા લાગે. તેથી એકાદ દાયકાને ટીંબે જરા થંભીને ‘મિલાપ’ના અંકોમાંથી પણ પાણીદાર મોતી જેવાં થોડાંક લખાણો વીણીને પુસ્તકરૂપે તેને સાચવવાની હોંશ રહેતી. પરિણામે 1951થી 1960ના દાયકાના ‘મિલાપ’ના અંકોમાંથી ચૂંટી કાઢેલાં લખાણોનો લગભગ 250 પાનાંનો સંગ્રહ ‘દાયકાનું યાદગાર વાચન’ 1966માં પ્રગટ કરેલો. તેમાં પોણોસોએક લેખકોની નેવું જેટલી કૃતિઓ હતી, જે વાચકો હજી પણ માણી શકે એવી લાગેલી.

1960 પછીના ‘મિલાપ’ના અંકોમાંથી પણ ‘દાયકાનું યાદગાર વાચન’ના વધુ બે ભાગ બહાર પાડવાની ઉમેદ હતી. પણ દસ વરસના 120 અંકો સામટા ઝીણવટથી તપાસીને તેમાંથી લખાણો વીણવાની નિરાંત ફરી મળી નહિ. છેવટે 1995માં એમ મન મનાવ્યું કે દસ નહિ તો એક એક જ વરસના અંકોમાંથી તારવણી કરીને તે પુસ્તક રૂપે પ્રગટ કરતા જવી. એટલે 30 વરસ પહેલાંના, 1965ના વરસના, અંકોમાંથી આજે પણ વાચકોને રસદાયી નીવડે તેવાં લખાણો ‘ભવનું ભાતું’ નામે આ નાના સંચય રૂપે બહાર પડે છે. મૂળ લખાણો ટૂંકાવીને ‘મિલાપ’માં મૂકેલાં, તેમાંથી ઘણાંનો અહીં થોડો વિશેષ સંક્ષેપ કરેલો છે.

છાપાં-સામયિકોની ક્ષણભંગુર કુત્સિતતા જોઈ જોઈને આપણે ઘણાએ ગ્લાનિ અનુભવી હશે. અને છતાં એ જ કાદવામાંથી સાંપડેલાં, અહીં સંઘરાયાં છે તેવાં પંકજ-પુશ્પોની મહેક અંતરને ભરી મૂકે છે. ભલે અલ્પ પ્રમાણમાં પણ આવાં લખાણો મેળવવા આપણે ભાગ્યશાળી થયાં, તે બદલ એના લેખકો પ્રત્યે હૃદય ઓશીંગણભાવ અનુભવે છે. પણ એ લેખકોનો સાચો મહિમા આપણે ક્યારે કર્યાે ગણાય, તે તો કેદારનાથજીના આ શબ્દો સૂચવી જાય છે :
“વાચનથી માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય, તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃદ્ધિ થતી ન હોય, અને તે પ્રમાણે આચરણ ન થતું હોય, તો એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.”

‘ભવનું ભાતું’માં સંગ્રહિત લખાણો વાચકોની, સંપાદકોની પણ, ભાવનાઓની વૃદ્ધિ કરાવનારાં નીવડશે એવી આશા છે.

-મહેન્દ્ર મેઘાણી

 

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

મહેન્દ્ર મેઘાણી ગુજરાતી પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. તેઓ જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક મિલાપના સ્થાપક તંત્રી હતા.

તેમનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો. મહેન્દ્રભાઈએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર ખાતે લીધુ હતું. ત્યારપછી ૧૯૪૨માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈ સ્થંળાતર કર્યુ હતું અને હિંદ છોડોની લડત દરમ્યાન અભ્યાસ અધુરો છોડ્યો હતો. ૧૯૪૮માં તેઓ પત્રકારત્વનાં અભ્યાસ માટે અમેરીકાની કોલંબીયા યુનિવર્સિટી ગયા હતા.

મહેન્દ્રભાઈએ તેઓની કારકિર્દીની શરુઆત ગુજરાતી દૈનિક નૂતન ગુજરાત માટે લેખમાળા લખીને કરી હતી.૧૯૫૦માં તેઓએ મિલાપ સામયિકની શરુઆત કરી હતી જે તેઓએ ૧૯૭૮ સુધી ચલાવ્યુ હતું.૧૯૫૩માં તેઓએ તત્કાલીન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સોવીયેટ યુનીયન,પોલેન્ડ અને યુગોસ્લાવીયાનો પ્રવાસ કર્યો હતો. ૧૯૬૯નાં વર્ષમાં ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શનોનું આયોજન કરી ભારતીય પુસ્તકો અને ગાંધીજીના વિચારોનો પ્રચાર કર્યો હતો. ૧૯૭૨ની સાલથી લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓએ ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકોને સસ્તા ભાવે પ્રકાશીત કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા હતાં. આ ઉપરાંત ૧૯૮૮ની સાલથી તેઓએ જાણીંતા પુસ્તકોનુ સંક્ષીપ્તીકરણ કરીને ૧૦૦ જેટલા પાનાઓની પુસ્તીકાઓ પ્રકાશીત કરીને અતીઅલ્પ ભાવે આપીને લોકોમાં વાંચન વધારવાનો પ્રયાસ કર્યો હતો.

તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે થયુ હતું.