આત્માની માતૃભાષા

ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશીએ નોંધ્યું છેઃ

‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’

ઉમાશંકરે ‘સંસ્કૃતિ’નો કાવ્ય-આસ્વાદ વિશેષાંક કર્યો હતો, પછી ‘પ્રતિભા અને પ્રતિભાવ’ નામે એનો ગ્રંથ કરેલો. ‘નિશ્ચેના મહેલ’માંના એમના આસ્વાદ આ ક્ષણે યાદ આવે છે.

ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી નિમિત્તે એમનાં ચૂંટેલાં કાવ્યોના આસ્વાદનો ‘પરબ’નો વિશેષાંક કરેલો. જે ખૂબ આવકાર પામ્યો હતો. એમાં ઉમાશંકરનાં બાસઠ કાવ્યો તથા સાત મુક્તકો-લઘુકાવ્યોના આસ્વાદનો સમાવેશ કર્યો હતો. ભગતસાહેબ, ઉશનસ્, સિતાંશુ, લાભશંકરથી માંડીને રાજેશ પંડ્યા, મહેન્દ્રસિંહ પરમાર સુધીના કવિઓ, વિવેચકો, અભ્યાસીઓ પાસેથી આ વિશેષાંક માટે આસ્વાદ-લેખો પ્રાપ્ત થયા હતા.

‘પરબ’નો આ વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદે ‘આત્માની માતૃભાષા’ શીર્ષકથી 2011માં પુસ્તક રૂપે પ્રગટ કર્યો હતો.

‘આત્માની માતૃભાષા’ ગ્રંથનું હવે ઈ-પ્રકાશન થઈ રહ્યું છે. આથી ઉમાશંકર જોશીનાં શ્રેષ્ઠ કાવ્યો તથા આસ્વાદ કાવ્યપ્રેમીઓ માટે આંગળીનાં ટેરવાંવગાં બન્યાં છે. એનો આનંદ વ્યક્ત કરું છું. આ ઈ-પ્રકાશન માટે એકત્ર ફાઉન્ડેશન તથા મિત્ર અતુલ રાવલનો આભાર માનું છું.

— યોગેશ જોષી

ઉમાશંકર જોશી

તેઓ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનો નામ : રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. તેમની પુત્રીઓના નામ નંદિની અને સ્વાતિ છે.તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણા ગામે અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું.