ભગવાનદાસ પટેલનું સાહિત્ય અને આદિવાસી લોકસાહિત્ય-વિશ્વ
ભગવાનદાસ પટેલ
ઉત્તર ગુજરાતમાં વિસ્તરેલા દુનિયાના એક પ્રાચીન પહાડ અરવલ્લીની શિખરાવલીઓની ઊંડાણની તળેટીઓમાં વસતા ડુંગરી ભીલ સમાજનાં મારા દ્વારા સંપાદિત ૪ મૌખિક મહાકાવ્યો, ૨૦ લોકાખ્યાનો, ૧૦૦૦ લોકગીતો-કથાગીતો-ગીતકથાઓ, અનેક લોકકથાઓ-પુરાકથાઓ-લોકમંત્રો (ભીલોનું ભારથ, રાઠોરવારતા, રૉમ-સીતમાની વારતા, લોકાખ્યાનોના અંગ્રેજી અનુવાદ સાથે) વગેરે સત્ત્વશીલ લોકસંપદાને ડીજિટાઇઝેશન દ્વારા રક્ષિત કરી વિશ્વ સમક્ષ મૂકીને એક ભગીરથ કાર્ય એકત્ર ફાઉન્ડેશને પૂર્ણ કર્યું છે.
આથી હાંસિયામાં રહેલું આદિવાસી મૌખિક સાહિત્ય વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસનો વિષય બનશે, જેથી આદિવાસી સમાજ વિશે જ્ઞાનની એક નવી દિશા ખૂલશે. પરિણામે અન્ય સમાજના સંશોધકોને આદિવાસી સંસ્કૃતિ-સમાજ-સાહિત્યને મૂળરૂપમાં સમજવા માટે સહાયતા મળશે. મહાવિદ્યાલયોમાં અધ્યયનનો વિષય બનવાથી સાક્ષર આદિવાસીઓ અસ્મિતા અને ગૌરવ અનુભવશે. પરિણામે જાતિ જાતિ વચ્ચે ભાવાત્મક એકતા સ્થાપિત થઈ શકશે.
આ માટે એકત્ર ફાઉન્ડેશનના સ્થાપક કર્મયોગી શ્રી અતુલ રાવલ, શ્રી રાજેશ મશરૂવાળા અને સંયોજક અનંત રાઠોડ યશ અને અભિનંદનના અધિકારી છે.
–ભગવાનદાસ પટેલ
ભગવાનદાસ પટેલ
ભગવાનદાસ પટેલ (જન્મ: ૧૯ નવેમ્બર ૧૯૪૩) ગુજરાતના ખ્યાત આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યવિદ, પ્રાગિતિહાસવિદ ભીલ લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને આદિવાસી અકાદમી, તેજગઢના પૂર્વ નિયામક છે.
એમના દ્વારા સંપાદિત ૪ લોકમહાકાવ્યો, ૨૧ લોકાખ્યાનો, ૧૦૦૦ આદિવાસી લોકગીતો અને અનેક પુરાકથા-લોકકથાઓના સંપાદનનાં ૫૦ પુસ્તકો થકી આદિવાસી લોકસાહિત્ય સ્વતંત્ર ધારા તરીકે સ્વીકાર પામી ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે સ્થપાયું છે. આ વિદ્યાશાખાના અભ્યાસી ડૉ. હસુ યાજ્ઞિક કહે છે, "ભગવાનદાસ દ્વારા સંપાદિત 'ગુજરાંનો અરેલો', 'રાઠોરવારતા', ‘ભીલોનું ભારથ' અને ‘રોમ-સીતમાની વારતા' – આ ચાર લોકમહાકાવ્યો તો, વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના "કલેવાલ' પછીનું સંસિદ્ધ ઉન્નત શૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહી પરંતુ વૈશ્વિક ક્ષેત્રના આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે, સર્વોન્નત અભ્યાસશૃંગ છે." ભગવાનદાસનાં પુસ્તકોના હિંદી-અંગ્રેજી અનુવાદો દ્વારા ભીલી સાહિત્ય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચ્યું છે અને અભ્યાસનો વિષય બન્યું છે. તેમના દ્વારા સંપાદિત ‘ભારથ'નો સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૨૩ ભારતીય ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે. ‘રંગબહાર’ સંસ્થા સાથે ઇઝરાયલ, ફ્રાંસ, ઈંગ્લૅન્ડ, બેલ્જિયમ જેવા યુરોપના દેશોમાં વિશ્વલોકનૃત્ય મહોત્સવો અને પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ૭ વર્ષ આદિવાસી અકાદમીના માનદ નિયામકપદે રહીને વિશ્વકક્ષાનું આદિવાસી સાંસ્કૃતિક સ્વરોનું સંગ્રહાલય સર્જવામાં સિંહફાળો આપ્યો છે.
કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ભાષા સમ્માન ઍવૉર્ડ, ફ્રેન્ડશિપ ફોરમ ઑફ ઈન્ડિયા, દિલ્હીનો ભારત એક્સેલન્સ એવોર્ડ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને દક્ષિણ કોરિયાના સંયુક્ત ઉપક્રમે ટાગોર લિટરેચર ઍવૉર્ડ, ગુજરાતનો મેઘાણી ઍવૉર્ડ ઇત્યાદિ સન્માન એમને પ્રાપ્ત થયાં છે.