ભરત વિંઝુડાની ગઝલસંપદા

કેસર મકવાણા : સંપાદક

કવિ ભરત વિંઝુડા આઠમા દાયકાથી ગુજરાતી ગઝલલેખન ક્ષેત્રે પ્રવૃત્ત છે. જોકે આ કવિ પહેલો સંગ્રહ છેક ૧૯૯૪માં આપે છે. પ્રારંભકાળનું આ ધૈર્ય કવિની ગઝલપ્રતિની ગંભીરતાનું સૂચક છે. એ પછી તો એમની પાસેથી આજ સુધીમાં ૧૪ કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે. જેમાં એક ‘સ્ટ્રીટલાઈટ’ને બાદ કરતાં બાકીના બધા ગઝલસંગ્રહો છે. એમાંય પ્રતિસંગ્રહમાં સરેરાશ ૧૦૦ ગઝલો છે. એ જોતાં એની સંખ્યા તેરસો આસપાસ થાય છે. સંખ્યાની રીતે વિપુલ આ ગઝલરાશિમાંથી અહીં સિત્તેર ગઝલ પસંદ કરી છે.
આ સીમિત ગઝલ પસંદગીમાં કેટલાક ધોરણો ધ્યાનમાં રાખ્યા છે. જેમકે પૂરા પાંચ દાયકા જેટલા દીર્ઘકાળ પર વિકસેલી-વિસ્તરેલી કવિની ગઝલયાત્રાનો વિકાસોન્મુખ ગ્રાફ મળી રહે એ હેતુથી અહીં એમના દરેક સંગ્રહમાંથી ઓછામાં ઓછી ત્રણ-ચાર અને વધુમાં વધુ સાત-આઠ ગઝલો પસંદ કરવામાં આવી છે અને એનાં ક્રમિકરૂપમાં જ અહીં મૂકી છે.
બીજું, વિષય-વૈવિધ્યની સાથે છંદ-વૈવિધ્ય પણ જળવાઈ રહે એ બાબત પણ ધ્યાનમાં રાખી છે. પ્રયોગશીલ ને કાવ્યત્વની રીતે કમાલ કરતી કેટલીક ગઝલો કે જે કવિની ‘સિગ્નેચર પોયેમ’ કે પ્રતિનિધિરૂપ ગણાવી શકાય તેવી ગઝલો પણ અહીં સમાવી લેવા પ્રયાસ કર્યો છે.
આમ, અનુઆધુનિક કાળમાં સૌથી વધુ સર્જાતા ગઝલ કાવ્યસ્વરૂપમાં પોતાની સાદગીભરી ગઝલિયતથી આગવી ઓળખ ઊભી કરનાર આ ગઝલકારની વિપુલ ગઝલસંપદામાંથી અહીં ગણતર છતાં કવિનાં કવિકર્મનો હિસાબ આપી રહે તેવી ગઝલોને આ સંપાદનમાં સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. આશા છે આ સંપાદન ભાવકો માટે કવિ ભરત વિંઝુડાનાં તાજગીભર્યા કવિકર્મનું પરિચાયક નીવડશે.

કેસર મકવાણા

કેસર મકવાણા : સંપાદક

ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગામ મિતિયાજમાં તારીખ ૧૦-૯-૧૯૬૬ના રોજ શ્રી કેસર મકવાણાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. ગુજરાતી વિષય સાથે બી.એ. સુધીનો અભ્યાસ એમણે કોડીનારની જે. એસ. પરમાર કૉલેજમાં ૧૯૮૮માં પૂર્ણ કર્યો. ત્યારબાદ એમ.એ. એમણે ગુજરાતી વિષય સાથે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં ૧૯૯૦માં પ્રથમ વર્ગ સાથે કર્યું છે. એ જ વર્ષે નવેમ્બર માસથી તેઓ સાવરકુંડલાની આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેમણે સાવરકુંડલાની આ કૉલેજમાં સળંગ ૩૧ વર્ષ સુધી સેવાઓ આપી. વચ્ચે કોરોનાકાળમાં ઘરેથી ભણાવવાનું થયું એ સમયમાં તેમને લેખન અને વાચનમાં અત્યંત રસ પડતાં, તેમને સ્વેચ્છિક નિવૃત્તિ લેવાનો વિચાર આવ્યો અને ૧૫ જૂન ૨૦૨૧થી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ હાલ ભાવનગર રહી માત્ર સાહિત્યિક વાચન-લેખનમાં પ્રવૃત્ત છે.
મોટાભાગે પીએચ.ડી. થવા ઉત્સુક અભ્યાસુઓ સીમિત વિષય પસંદ કરતા હોય છે. એવા સમયમાં ‘ગ્રામજીવનની સાઠોત્તરી ગુજરાતી નવલકથા’ જેવો વિશાળ વિષય કે જેમાં ૧૯૬૦ પછીથી અભ્યાસ સુધીના સમયની ગ્રામજીવનની નવલકથાઓનો અભ્યાસ રજૂ કરવાનો થાય, તેવા વિષયમાં ૧૯૯૮માં પીએચ.ડી. કર્યું છે.
શ્રી કેસર મકવાણાએ સંશોધક, વિવેચક તેમ જ સંપાદક તરીકે ગુજરાતી ભાષામાં કામ કર્યું છે. તેમણે પીએચ.ડી. નિમિત્તે જે સંશોધનકામ કર્યું, તે એ જ નામથી પુસ્તક સ્વરૂપે (૨૦૦૧માં) પ્રકાશિત થયું છે. એની બીજી આવૃત્તિ પણ થઈ છે. એ પછી એમણે ‘પરિમિત’ અને ‘પરિસર’ નામે વિવેચનલેખોનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત ‘નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાઙ્‌મય’ (૨૦૧૨) જેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં થનાર છે તે, તથા નાનાભાઈની બલિદાન કથાઓ ‘અમે પાદરમાં ઝાટકે ખરેલાં’ (૨૦૧૪) અને મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યોપનિષદ’ (૨૦૨૩) એમ ત્રણ સંપાદનનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત દલિત સાહિત્યવિવેચન ક્ષેત્રે ‘દલિતાયન’ (૨૦૧૫) અને ‘સમાંતર’ (૨૦૨૨) નામે બે પુસ્તકો આપ્યાં છે. એ પછી ગુજરાતી કવિતા-આસ્વાદનું પુસ્તક ‘કાવ્યમર્મ’ (૨૦૨૩) તેમની પાસેથી મળે છે.
તેઓ સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચ.ડી.ના માર્ગદર્શક પણ હતા. એટલે તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું છે. તેમ જ ગુજરાતી ભાષાનાં લગભગ તમામ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા રહે છે. તેમણે અનેક પરિસંવાદોમાં ને ‘મનોજપર્વ’ કે ‘અસ્મિતાપર્વ’ જેવા પ્રતિષ્ઠિત મંચો પર વક્તવ્યો આપેલા છે. તેઓ સંશોધક, વિવેચક, સંપાદક હોવા સાથે પ્રભાવશાળી વક્તા પણ છે. એટલે સાહિત્ય પરિષદનાં જ્ઞાનસત્ર કે અધિવેશનમાં કે અકાદમીના કોઈ પરિસંવાદમાં તેમને વક્તવ્ય આપવાના થાય તો અગાઉ જે વિદ્વાનોએ આ સંસ્થાનું મૂલ્ય વધાર્યું છે, તે રીતે શ્રી કેસર મકવાણા પણ આ બધી સંસ્થાનું ગૌરવ વધારી શકે તેમ છે.

– ભરત વિંઝુડા