ભાષા, સમાજ અને સાહિત્ય

યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ

‘ભાષા, સમાજ અને સાહિત્ય’ પ્રો. યોગેન્દ્ર વ્યાસનું ભાષાવિજ્ઞાનવિષયક સંદર્ભ પુસ્તક છે. ભાષાશાસ્ત્રને કેન્દ્ર કરતા સોળ જેટલાં લેખ અહીં છે. અહીં ભાષાસંદર્ભે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરતા ‘ભાષા — માનવસંસ્કૃતિની સાથી’, ‘ભાષાભિવ્યક્તિના પ્રશ્નો’, ‘વિશ્વભાષા’ જેવા વિષયની ચર્ચા કરતાં પ્રકરણ છે. આ ઉપરાંત ‘આદિલેખન અને સાહિત્ય’, ‘ગુજરાતી ભાષામાં બહુવચનના પ્રત્યયો’, ’વ્યાકરણનું શિક્ષણ’, ’ગુજરાતીમાં ભાષાવિચાર’ જેવા લેખોની સાથે ભાષાવિજ્ઞાન સાથે તુલના કરતાં ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્ય’, ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્ય વિવેચન’ જેવા અભ્યાસલેખ પણ છે. કવિ કાન્તના ‘વસંતવિજય’ કાવ્યની સંરચનાની તપાસ કરતો, ‘નિરંજન ભગતની કાવ્યશૈલીને ભાષાવિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસતો અને ‘વળામણાં’ નવલકથાની લોકબોલીનો અભ્યાસ રજૂ કરતા લેખ સંશોધનની નવી દિશા ચિંધનારા છે.

ભાષાના વિભાવોની ચર્ચાની સાથે ભાષાવિજ્ઞાનક્ષેત્રે પ્રદાન કરનારા ત્રણ ભાષાવૈજ્ઞાનિકો — કેશવ હર્ષદ ધ્રુવ, રમણભાઈ નીલકંઠ અને કમળાશંકર ત્રિવેદી — વિશે પ્રમાણિત સામગ્રી આપતા લેખ છે. પુસ્તકમાં પરિશિષ્ટરૂપે જોડેલા ‘ભાષાવિજ્ઞાનના અગત્યના વિભાવો વિશે નોંધ’ અને ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન — સુસુરથી ચોમ્સ્કી’ લેખ અભ્યાસીને ખૂબ મદદરૂપ થાય એવા છે.યોગ્ય દ્રષ્ટાંતોનો વિનિયોગ અને ભાષાની સરળતાથી આ સંદર્ભસામગ્રી અભ્યાસીને વિષય સમજવામાં સહાયક બનશે.

— કીર્તિદા શાહ

યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ

યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ

(જન્મ : ૬-૧૦-૧૯૪૦)(અવસાન : ૨૩-૦૯-૨૦૨૧)

ગુજરાતી ભાષાનો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર વિદ્વાનોમાંના એક યોગેન્દ્ર વ્યાસ મૂળ ભાલોદના વતની. પરંતુ તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક તથા કોલેજનું શિક્ષણ અમદાવાદમાં જ મેળવ્યું. ૧૯૬૧માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. કરી ગુજરાતી - ભાષાવિજ્ઞાન સાથે તેમણે એમ.એ. કર્યું. સાથે સાથે ૧૯૬૧-૬૩ દરમ્યાન ગુજરાત કૉલેજમાંથી ‘દક્ષિણા ફેલો’ થઈને ૧૯૬૩માં ડેક્કન કોલેજ પૂના ખાતે પી. જી. ડિપ્લોમા ઇન લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કર્યો. ૧૯૬૭માં દિલ્હી યુનિ.ના ભાષાવિજ્ઞાન વિભાગના વડા ડૉ. પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘અ લિંગ્વિસ્ટિક સ્ટડી ઑફ ભીલી ડાયલેક્ટ્સ (અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી ઓફ સેન્ટ્રલ ઍન્ડ નોર્થ ભીલી)’ પર ગુજરાત યુનિ.માંથી પીએચ. ડી.ની ઉપાધિ મેળવી.

વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ એમણે ૧૯૬૩-૬૬માં મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરના આચાર્ય તરીકે કર્યો. એ સમયગાળા દરમ્યાન લીએન પર ડેક્કન કૉલેજ, પૂના ખાતે ફેલો અને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ ફરજ બજાવી. ૧૯૬૬-૬૯ દરમ્યાન અમદાવાદની સરસપુર આર્ટ્સ-કૉમર્સ કૉલેજ ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને આચાર્ય તરીકે ફરજ બજાવી. ૧૯૬૯માં ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિ.માં લેક્ચરર તરીકે જોડાયા અને ૧૯૭૯માં રીડર, ૧૯૮૮માં પ્રોફેસર અને ૨૦૦૦થી ભવનના નિયામક તરીકેની ફરજ બજાવીને ર૦૦રમાં નિવૃત્ત થયા. ૧૯૭૩-૭૪ દરમ્યાન બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં ‘સ્પિચ થેરપી’ના વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કર્યું. નિવૃત્તિ બાદ ૨૦૦૩-૦૪માં ‘દિવ્યભાસ્કર' અખબારમાં ‘ભાષાસલાહકાર' તરીકે સેવા આપી છે.

તેમના ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ' (૧૯૭૩), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘સામાજિક ભાષાવિજ્ઞાન: Socio-Linguistics' (૧૯૮૩) અને ‘શબ્દાર્થચર્ચા’ (૨૦૦૨) ગુજરાત સરકાર દ્વારા તેમ જ પછીથી ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ પુસ્તકોનાં પારિતોષિકો મળ્યાં છે. ૧૯૭૩માં હરિ ૐ આશ્રમના ‘શ્રેષ્ઠ સંશોધન લેખ' માટે પણ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તો ૧૯૯૭માં અમદાવાદ શહેર શિક્ષણ સમિતિએ તેમનું ‘સન્નિષ્ઠ શિક્ષક' તરીકે સન્માન કર્યું છે.

વ્યાવસાયિક કારકિર્દીની સાથે સાથે તેમણે શ્રીમતી ઇંદિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ – વગેરે ઉપરાંત ભારત સરકાર દ્વારા નિયુક્તિ પામીને ૧૯૯૫થી ૧૯૯૯ સુધી ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિઅન લેંગ્વેજિસ (સી.આઈ.આઈ.એલ)', માયસોરમાં સંપાદક તેમજ સલાહકાર તરીકે માનદ સેવા આપી.

સામાન્ય રીતે ભાષાવિજ્ઞાન વિષય અંગ્રેજી ભાષામાં જ ભણાય અને ભણાવાય એવી માન્યતા ગુજરાતમાં પ્રવર્તતી હતી ત્યારે તેમણે અંગ્રેજીનો મહાવરો ન ધરાવતા ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતીમાં સરળતાથી આ વિષયની સમજ કેળવાય તે માટેની ખૂબ મથામણ કરીને સફળતા હાંસલ કરી. કોઈ પણ શિક્ષક કે અધ્યાપક ‘ભાષાવિજ્ઞાન'નો અભ્યાસ કરી શકે તે માટે શનિ-રવિની રજાઓ ભૂલીને સતત કાર્ય કરતા રહેલા આ શિક્ષકે ભાષાવિજ્ઞાનની વિવિધ શાખાઓનો અભ્યાસ કરી તેની ફળશ્રુતિ રૂપે વિવિધ પુસ્તકો પ્રગટ કર્યાં. આ ઉપરાંત તેમણે સર્જનાત્મક સાહિત્ય, જીવનઉપયોગી સાહિત્ય પણ આપ્યું છે.

— પિન્કી પંડ્યા, ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' ગ્રંથ ૮માંથી સાભાર