બૃહદ છંદોલય

નિરંજન ભગત

‘છંદોલય’ વિશે

 

નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિ એટલે ૧૯૪૩ના ડિસેમ્બરમાં રચાયેલા ‘સોણલું’થી આરંભ કરીને ૨૦૧૮ના જાન્યુઆરીમાં રચાયેલા ‘મૃત્યુને’ સુધીનાં, ૨૦૧૮માં મરણોત્તર પ્રગટ થયેલા ‘બૃહદ છંદોલય’માં સમાવેલા ૩૬૦ કાવ્યો.[1] ૭૫ વર્ષનો આ ગાળો ત્રણ સ્પષ્ટ વિભાગોમાં વહેંચાયેલો છે:

૧૯૪૩થી ૧૯૫૮: ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘પ્રવાલદ્વીપ’ અને ‘૩૩ કાવ્યો’નાં ૨૧૮ અને અન્ય ૮ કાવ્યો

૧૯૫૮થી ૨૦૦૩: ૧૧ અન્ય કાવ્યો

૨૦૦૩થી ૨૦૧૮: ‘પુનશ્ચ’, ‘૮૬મે’ અને ‘અંતિમ કાવ્યો’ (મરણોત્તર)નાં ૧૨૩ કાવ્યો

૧૫ વર્ષનાં બે સર્જનાત્મક ગાળાની વચ્ચે ૪૫ વર્ષનો પ્રલંબ મૌનનો સમય. આ વિરલ અને વિચિત્ર સર્જનાત્મક પ્રક્રિયાને સતર્ક સમજણનો આધાર મળવો અશક્ય છે. કવિ પોતે પણ ‘સંભ[વિત]’ કારણનો ઉલેખ કરતાં નોંધે છે કે:

૧૯૫૯ પછી લગભગ ચાર દાયકાના મૌનનો જે અનુભવ થયો એમાં સંભવ છે કે ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો – મુખ્યત્વે ‘પાત્રો’ અને ‘ગાયત્રી’ – માં જે કવિતા છે એની સમકક્ષ એવી કવિતા – બલકે એને અતિક્રમી જાય એવી કવિતા-રચાય તો જ એ કવિતાનો કંઈ અર્થ છે એવો ભાવ હૃદયમાં સતત રહ્યો હતો એ મુખ્ય કારણ હોય.[2]

નિરંજન ભગત ગુજરાતી કવિતામાં આધુનિકતાના પ્રણેતા તરીકે સુસ્થાપિત છે. તેમની ‘પ્રવાલદ્વીપ’ની કવિતામાં તેઓ એક આધુનિક વિષય, નગર-કવિતા, પસંદ કરે છે. આધુનિક કલ્પનો અને પ્રતીકોથી આ વિષયને શણગારે છે અને પરંપરાગત સંસ્કૃત અક્ષરમેળ છંદમાં લયબદ્ધ કરે છે, આમ તેઓ ગુજરાતી કવિતામાં એક નવો જ પથ કંડારે છે.

કાવ્યગ્રંથના પ્રકાશનમાં નિરંજન ભગત નાનકડા પુસ્તકોનું પ્રકાશન કરતા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માન પ્રસંગે આપેલા પ્રતિભાવમાં (૨૫ માર્ચ ૧૯૯૪) પોતાના પ્રકાશનોની વિગતે વાત કરતાં નિરંજન ભગત લખે છે:

૧૯૪૩થી ૧૯૫૮ લગી, માત્ર પંદર વર્ષ લગી જ, કાવ્યો રચ્યાં અને તે પણ અલ્પસંખ્ય. જોકે એનું પાંચ નાનકડા સંગ્રહ રૂપે પ્રકાશન કર્યું હતું: ૧૯૪૯માં ‘છંદોલય’, ૧૯૫૦માં ‘કિન્નરી’, ૧૯૫૪માં ‘અલ્પવિરામ’, ૧૯૫૬માં ‘પ્રવાલદ્વીપ’ અને ૧૯૫૮માં ’૩૩ કાવ્યો. પછીથી ૧૯૭૪માં આ પાંચેય સંગ્રહોનું એક સંગ્રહ રૂપે, સમગ્ર કવિતા રૂપે, ‘છંદોલય’ શીર્ષકથી પ્રકાશન કર્યું હતું.[3]

અહીં તેઓ એક વિશિષ્ટ (અને વિસ્મૃત?) આવૃત્તિની વાત વિસરી ગયા હોય તેમ લાગે છે. ૧૯૫૭માં એક સુંદર મુખપૃષ્ઠ – ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર, છગનલાલ જાદવ(૧૯૦૩-૧૯૮૭)ના દ્વિરંગી વર્તુલાકાર લીટીઓને લયબદ્ધ છંદમાં પ્રસ્તુત કરતા આધુનિક અને એબ્સટ્રેકટ ચિત્રથી સુશોભિત – સાથે ‘છંદોલય’ની આવૃત્તિ પ્રગટ થઈ હતી, જેનું ૧૯૭૨ અને ૧૯૭૪માં પુનર્મુદ્રણ થયું હતું.

  

UJO-Chandolay-Title.jpg

  

આ પુસ્તકને વિશિષ્ટ બનાવતી માહિતી અન્યથા વાચાળ અને શબ્દાળુ ‘નિ.’ના (નિરંજન ભગતના) ટૂંકા ‘નિવેદન’માં એટલી સહજ રીતે અપાઈ છે કે તેને તેના મૂળ સ્વરૂપે પ્રસ્તુત કરવાની લાલચ હું રોકી શકતો નથી.

  

Chandolau vishe-2.png

 

આમ આ સંગ્રહનું સંપાદન અને સંકલન ગુજરાતીના અગ્રગણ્ય કવિ અને સાહિત્યકાર, ઉમાશંકર જોશીએ કર્યું છે. આ સિવાય આખાય સંગ્રહમાં ઉમાશંકર જોશીનું નામ ક્યાંય આવતું નથી પણ પાછલા કવર ઉપરનું લખાણ તેમનું હોય તેમ લાગે છે. ક્રમ સર્જન-સમય પ્રમાણે (કાલાનુક્રમિક) રાખ્યો છે – ‘પ્રવાલદ્વીપ’નાં ૧૬ કાવ્યો તેમાં અપવાદ છે.

૧૯૫૬ સુધી નિરંજન ભગતે ૧૯૦ જેટલાં કાવ્યો લખ્યાં હતાં તેમાંથી ચૂંટીને ૧૩૫ કાવ્યો અહીં પ્રસ્તુત છે. ન પસંદ થયેલાં કાવ્યોમાંથી અડધોઅડધ ગીતો છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં મોટા ભાગનાં કાવ્યોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉમાશંકર જોશીએ અમુક કાવ્યોનાં શીર્ષક પણ બદલ્યાં છે. તેની વિગત;

  

 
નિ.ભ.નું શીર્ષક ઉ.જો.નું શીર્ષક
જાગૃતિ હૃદયની ઋતુઓ
મૂંગી મૂરતી ઓ મૂંગી મૂરતી રે
વસંતવેણુ ઉર ઉદાસી
આષાઢ આયો આષાઢ
મન ભલે ના જાણું પ્રેમનું ટાણું
તને જોઈ વાર વાર સ્વપનની પાર
ઉરનાં દ્વાર ઉઘડ્યાં ઉરનાં દ્વાર
કોઈ બ્હાને મન નહીં માને
સાંજની વેળાનો વાગે સૂર સાંજની વેળાનો સૂર
આવ સખી, આવ વિરહને તીરે તીરે
કોણ રતિના રાગે રતિના રાગે
કોને કહું? એકલો

 

રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્યોની નીચે બહુધા રચના કાળ અને સ્થળનો ઉલ્લેખ કરતા. કદાચ તેમને અનુસરીને નિરંજન ભગતે પોતાના મોટાભાગનાં કાવ્યોની નીચે રચનાનું વર્ષ દર્શાવ્યું છે. ‘અલ્પવિરામ’ અને ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો તેમાં અપવાદ છે. પણ ઉપરોક્ત ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિમાંથી તેમ જ ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’માંથી આમાંનાં મોટાભાગનાં કાવ્યોનું રચના-વર્ષ મળી આવે છે. તે ઉપરથી તૈયાર કરેલો ‘છંદોલય’નો કાલાનુક્રમિક ક્રમ અંતિમ પરિશિષ્ટમાં પ્રસ્તુત છે. અભ્યાસુ અથવા જિજ્ઞાસુ વાચકને માટે તે ઉપયોગી નીવડશે એવી આશા છે.

અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તૃત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ:

 

Chandolau vishe-1.png

 

 

— શૈલેશ પારેખ

 

 

 


  1. આ આવૃત્તિમાં ત્રણ કાવ્યો – ‘સિત્તેરમે’, ‘તમને જે અજાણ’ અને ‘શું તમારું મન મેલું નથી?’ – બે વાર છપાયાં છે. વીજાણુ આવૃત્તિમાં આ પુનરાવર્તન ટાળ્યું છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં ‘આપો ભૂમિ, આપો ભૂમિ’ અને ‘ચહેરો’; ‘કુમાર’માં; ‘હે વરમંડો વણનારા’; તેમના જીવનકાળ દરમિયાન ક્યાંય ન છપાયેલું ‘ચિત્તને જ્યાં ભય ન હોય’ (રવીન્દ્રનાથના ‘ચિત્ત જેથા ભયશૂન્ય’ – વ્હેર ધ માઈન્ડ ઈઝ વિધાઉટ ફીયર-નો ગેય અનુવાદ); – આ ચાર નિરંજન ભગતનાં અગ્રંથસ્થ કાવ્યો છે.
  2. ‘બૃહદ છંદોલય’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૧૮, પા. ૪૨૯-૪૩૦.
  3. ‘છંદોલય’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૭, પા. ૨૮૨. તે જ પ્રમાણે પછીથી ૨૦૦૭માં ‘પુનશ્ચ’ અને ૨૦૧૨માં ‘૮૬મે’નું પ્રકાશન કર્યું હતું.

નિરંજન ભગત

નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે.

‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. ‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), ‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.

‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.


-ચંદ્રકાન્ત ટોપીવાળા