ચુનીલાલ મડિયાની લોકપ્રિય વાર્તાઓ

ચુનીલાલ મડિયા

આ સંપાદનમાં, મડિયામાંથી જેમણે મડિયારાજા બનાવીને ઘૂઘવતાં પૂર સમી પ્રચંડ લોકપ્રિયતા આપી એવી વાર્તાઓ છે. ‘કમાઉ દીકરો’, ‘વાની મારી કોયલ,’ ‘ચંપો અને કેળ’ કે ‘વેળા વેળાની છાંયડી’ હોય કે અહીં છે એ બધી વાર્તાઓ આજે એક લેખકની વાર્તામાંથી લોકકથા બનવાના સીમાડા ઉપર ઊભી છે. આ કથાઓમાં વાર્તાકાર મડિયા નવલકથાકાર મડિયા કરતા નોખો મિજાજ અને નોખી સર્જકતા બતાવે છે. અહીં એક બાજુ જિંદગીની કાળી બાજુ રજૂ કરતી વાર્તાઓ છે તો એની સામે બાજુ મનોમન મલકી ઊઠીએ અને વળી એ મલકાટની પાછળ છુપાયેલી કરુણતા નજરે ચડે તો મૌન થઈ જવાય એવી વાર્તાઓ પણ છે. કોઈ અખબારમાં આવેલા ચાર લીટીના સમાચારમાંથી સાંગોપાંગ વાર્તા સર્જી શકતી મડિયાની બળકટ કલમ આછાં નખદર્શનમાંથી આખો રાવણ આલેખવાની શક્તિની સાબિતી આપે છે. અઢીસો જેટલી વાર્તાઓમાંથી વીસ જ વાર્તાઓ પસંદ કરવાનું કામ ઘણું અઘરું હતું જે અમિતાભ મડિયાએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

અત્યાર સુધી કાળા અક્ષર બનીને સફેદ કાગળમાં કેદ રહેલી આ કથાઓને ‘એકત્ર’નો વિજાણુ અવતાર સાંપડતાં એ ખરા અર્થમાં દેશ વિદેશના સીમાડા ઓળંગવા શક્તિમાન બની છે એ ઘટના નાનીસૂની નથી. ચાલો, મડિયાની દિવ્ય ચેતનાને વંદન કરીને આ વાર્તાઓમાં પ્રવેશીએ.

— કિરીટ દૂધાત
 

ચુનીલાલ મડિયા

ચુનીલાલ કાળિદાસ મડિયા, ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’ (૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૬૮) : નવલકથાકાર, નવલિકાકાર નાટ્યકાર. વિવેચક, કવિ. જન્મ ધોરાજી (જિ.રાજકોટ)માં. ૧૯૩૯ માં મૅટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. ૧૯૪૬માં ‘જન્મભૂમિ’, મુંબઈમાં ૧૯૫૦માં ‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં ‘યુસીસ’ થી નિવૃત્ત. ૧૯૬૬ થી ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન.

‘પાવકજવાળા’ (૧૯૪૫), ‘વ્યાજનો વારસ’ (૧૯૪૬), ‘ઈંધણ ઓછાં પડ્યાં’ (૧૯૫૧), ‘વેળા વેળાની છાંયડી’ (૧૯૫૬), ‘લીલુડી ધરતી’- ભા. ૧-૨ (૧૯૫૭), ‘પ્રીતવછોયાં’ (૧૯૬૦) ‘શેવાળનાં શતદલ’ (૧૯૬૦), ‘કુમકુમ અને આશકા’ (૧૯૬૨), ‘સધરા જેસંગનો સાળો’- ભા. ૧-૨ (૧૯૬૨), ‘ગ્રહાષ્ટક વત્તા એક’ (૧૯૬૫), ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ (૧૯૬૭), ‘ધધરાના સાળાનો સાળો’ (૧૯૬૮), ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ (૧૯૬૮) વગેરે એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.

‘ઘૂઘવતાં પૂર’ (૧૯૪૫), ‘શરણાઈના સૂર’ (૧૯૪૫), ‘ગામડું બોલે છે’ (૧૯૪૫) ‘પદ્મજા’ (૧૯૪૭), ‘ચંપો અને કેળ’ (૧૯૫૦), ‘તેજ અને તિમિર’ (૧૯૫૨), ‘રૂપ-અરૂપ’ (૧૯૫૩), ‘અંતઃસ્ત્રોતા’ (૧૯૫૬), ‘જેકબ સર્કલ સાત રસ્તા’ (૧૯૫૯), ‘ક્ષણાર્ધ’ (૧૯૬૨), ‘ક્ષત-વિક્ષત’ (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે. બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.

‘હું અને મારી વહુ’ (૧૯૪૯), ‘રંગદા’ (૧૯૫૧), ‘વિષયવિમોચન’ (૧૯૫૫), ‘રક્તતિલક’ (૧૯૫૬), ‘શૂન્યશેષ’ (૧૯૫૭), ‘રામલો રોબિહનહૂડ’ (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના. નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.

‘ગાંધીજીના ગુરુઓ’ (૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તોલ્સ્તોય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. ‘વિદ્યાપ્રેમી ફાર્બસ’ પણ એમની ચરિત્રપુસ્તિકા છે. ‘ચોપાટીના બાંકડેથી’ (૧૯૫૯) એ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો ‘જયગિરનારી’ (૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે.

‘સૉનેટ’ (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે. ‘વાર્તાવિમર્શ’ (૧૯૬૧), ‘ગ્રંથગરિમા’ (૧૯૬૧), ‘શાહમૃગ અને સુવર્ણમૃગ’ (૧૯૬૬) અને ‘કથાલોક’ (૧૯૬૮) એ એમના, કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથો છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય થાય છે. ‘નાટક ભજવતાં પહેલાં’ (૧૯૫૭), ‘ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’ (૧૯૬૩) એમની પરિચયપુસ્તિકાઓ છે.

એમનાં સંપાદનોમાં ‘મડિયાની હાસ્યકથાઓ’, ‘મડિયાની ગ્રામકથાઓ’, ‘મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘શ્રેષ્ઠ એકાંકીઓ’, ‘નટીશૂન્ય નાટકો’, ‘નાટ્યમંજરી’ અને ‘ઉત્તમ એકાંકી’ જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. ‘શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ’ અને ‘કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ’ એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.


-બળવંત જાની

('ગુજરાતી સાહિત્ય પરિષદ'ની વેબસાઈટ ઉપરથી સાભાર)