ગુજરાતી સૉનેટસંપદા
મણિલાલ હ. પટેલ : સંપાદક
અર્વાચીન ગુજરાતી ઊર્મિકવિતાનો પ્રારંભ દલપતરામ-નર્મદ યુગથી ગણાવી શકાય. આગળ વધતાં ઊર્મિકવિતા ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેતી જણાશે. ગીત-ગઝલ-સૉનેટ! આધુનિકયુગમાં અછાંદસ કવિતાનો પ્રકાર વધુ ધ્યાન ખેંચે છે.
આ સંપાદનમાં ગુજરાતી સૉનેટ કવિતાનાં સૉનેટ કાવ્યો સમાવ્યાં છે. ૧૮૮૮ બ.ક.ઠા.થી શરૂ થયેલ આ કાવ્યપ્રવાહ અનુગાંધીયુગ સુધીમાં એની ઊંચાઈ સિદ્ધ કરે છે. એ પછી ક્રમશઃ સૉનેટ કાવ્યો લખાતાં ઓછાં ને ઓછાં થતાં જાય છે. અહીં પ્રકૃતિ-પ્રણય-પ્રભુ-ચિંતન-દેશકાળ-મૂલ્યો-વ્યક્તિઓ-સ્થળો વિશે રચાયેલાં ગુણવત્તાસભર સૉનેટોને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતી કાવ્યસમૃદ્ધિમાં સૉનેટ કવિતાનું પણ મહત્ત્વનું યોગદાન છે એની પ્રતીતિ આ સંપાદનનાં સૉનેટકાવ્યો જરૂર કરાવશે.
– મણિલાલ હ. પટેલ
મણિલાલ હ. પટેલ : સંપાદક

મણિલાલ હ. પટેલ (જ. ૯-૧૧-૧૯૪૯) આપણા પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક છે.
ગોલાના પાલ્લા, ગુણાવાડા, જિ. મહીસાગર, બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા–ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૫થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલા સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ.
એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદનાં ૭ અકાદમીનાં ૫ પારિતોષિક! દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.