સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી
રમણ સોની : સંપાદક
ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના એક પ્રમુખ વિવેચક જયંત કોઠારીનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો પસંદ કર્યાં છે.
એ લેખોને ૪ વિભાગોમાં રજૂ કર્યા છે : જયંતભાઈએ પશ્ચિમના અને સંસ્કૃતના કાવ્યશાસ્ત્ર વિશે તથા ગુજરાતી વિવેચન વિશે ચિકિત્સક અને વિમર્શાત્મક પણ સ્પષ્ટ અને વિશદ ચર્ચા કરેલી છે. એવા વિવેચનમાંથી પ્રતિનિધિરૂપ લેખો/લેખાંશો તારવીને સાહિત્યવિચાર વિભાગમાં મૂક્યા છે; સંશોધન વિશે એમણે લેખો તેમજ પુસ્તક પણ કર્યાં છે. એમાંથી પસંદ કરેલા લેખો સંશોધનવિચાર હેઠળ મૂક્યા છે. ત્રીજો વિભાગ એમના મધ્યકાલીન સાહિત્ય વિશેનાં લખાણોમાંથી તારવેલાલેખો/અંશોનો છે અને એમણે કરેલાં ગ્રંથવિવેચનો તેમજ કૃતિ-આસ્વાદ-વિવરણોને સમાવતા લેખો ગ્રંથસમીક્ષા,આસ્વાદ નામના ચોથા વિભાગમાં મૂક્યા છે.
એ રીતે જયંત કોઠારીની સ્પષ્ટ વિવેચક-મુદ્રા ઊપસી રહે એવું ચયન આપવાનો પ્રયત્ન રહ્યો છે.
દરેક લેખને છેડે, એ લેખો જે સામયિકો, પુસ્તકોમાંથી લીધા છે એ સ્રોતોના નિર્દેશો કર્યા છે.
લેખોના લેખશીર્ષકો વગેરેમાં જ્યાં અનિવાર્યપણેજરૂરી લાગ્યું ત્યાં શાબ્દિક ઉમેરણો કર્યાં છે ને એવાં સંપાદકીય ઉમેરણો ચોરસ કૌંસ[ ]માં મૂક્યાંં છે.
છેલ્લે, જયંત કોઠારીના વિવેેચનનો વધુ પરિચય ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે એમના સર્વ વિવેચન-ગ્રંથોની સમયાનુક્રમી સૂચિ તેમ જ એમના વિવેચન વિશે એક નાની સંદર્ભગ્રંથસૂચિ પણ મૂક્યાં છે.
– રમણ સોની
રમણ સોની : સંપાદક

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
(પરિચય – કિશોર વ્યાસ)