નર્મકથાકોષ

નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે : 1833-1886)

નર્મદે એમના શબ્દકોશ ‘નર્મકોશ’ની રચના તો 1861થી આદરી હતી પણ, અનેક વ્યવધાનોને લીધે એનું પ્રકાશન ઠેલાતું ગયેલું ને સંપૂર્ણ ‘નર્મકોશ’ 1873માં પ્રકાશિત થયેલો. આ દરમ્યાન એમણે આ ‘નર્મકથાકોષ’નું કામ પણ ચાલુ કરેલું ને એનું પ્રકાશન 1870માં થયેલું. એ પછી ગુજરાતી પ્રેસે એની આવૃત્તિઓ પ્રગટ કરવા માંડેલી. આ એની ત્રીજી આવૃત્તિ (1904) છે.

આ કોશ રામાયણ, [મહા]ભારત, ભાગવતમાંનાં ચરિત્રો અને કથા-ગત સંજ્ઞાઓ(જેમને એ કથાપ્રસંગો તરીકે ઓળખાવે છે) – એ વિશેનાં ટૂંકાં, પરિચય-લખાણો/અધિકરણોને વર્ણાનુક્રમે ‘(અંશુમાન’થી ‘હેડંબા’ સુધી) રજૂ કરે છે. એવા ચરિત્રકોશને અંતે ‘સંખ્યાત શબ્દાવલિ’ – જેવી કે ગ્રહો(નવ ગ્રહો,), જ્યોતિર્લિંગ(બાર...), તત્ત્વો(પાંચ), વગેરે – તેમ જ માસ-અનુસાર ‘પર્વોત્સવો’ની સૂચિ પણ ઉમેર્યાં છે. એથી આ કોશ વિદ્યાર્થીઓને તથા જિજ્ઞાસુઓને માટે ઘણો ઉપયોગી બનેલો.

નર્મદે લખ્યું છે કે આ કોશ એમણે ‘મૂળ સંસ્કૃતનાં નહીં પણ ઘણાં એક ગુજરાતી, હિંદી, મરાઠી પુસ્તકો’ને તથા એક અંગ્રેજી પુસ્તકને આધાર-સ્રોત તરીકે લઈને તૈયાર કર્યો છે.

આ પ્રકારના એક પહેલા અને શાસ્ત્રીય પ્રયત્ન તરીકે એનું મૂલ્ય અને મહત્ત્વ ઘણું છે.

– રમણ સોની

નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે : 1833-1886)

નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે : 1833-1886) ‘અર્વાચીનતા’નો પૂરો સ્પર્શ પામેલા ગુજરાતી સાહિત્યના પહેલા લેખક. જન્મ સુરતમાં. પણ પછી સમયેસમયે એમનું ભણવાનું સુરત ને મુંબઈ વચ્ચે વહેંચાયેલું રહ્યું. શિક્ષક તરીકે પણ સુરત-મુંબઈ રહ્યા. ઈ.1850માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા પણ અભ્યાસ પૂરો ન કર્યો. કોલેજમાં વર્ડઝવર્થની કવિતાથી આકર્ષાયા ને 1856 આસપાસથી કાવ્યલેખન શરૂ થયું. નવી અંગ્રેજી સંસ્કૃતિ ને સાહિત્ય-વિદ્યાના પ્રભાવે એ લેખક ઉપરાંત પત્રકાર અને સમાજસુધારક થયા – ‘ડાંડિયો’ સામયિકપત્ર ચલાવ્યું. એ નિમિત્તે ગુજરાતી ગદ્ય પણ ખેડાયું.


‘યા હોમ કરીને પડો..’ તથા ‘જય જય ગરવી ગુજરાત’ જેવાં કાવ્યોથી ને ‘મંડળી મળવાથી થતા લાભ’ જેવા વક્તવ્ય-નિબંધોથી બહુ-ખ્યાત બનેલા ને વીર નર્મદ તરીકે વધુ જાણીતા આ સર્જક-વિવેચક-વિચારક-સંશોધકનું ફલક ઘણું વિશાળ છે ને એમ ભાષા-સાહિત્યને એમનું પ્રદાન ખૂબ મોટું અને અવિસ્મરણીય છે.


‘નર્મકવિતા’(1864)માં એમની સમગ્ર કવિતા સંચિત થઈ છે અને ‘નર્મગદ્ય’(1865)માં એમનાં નિબંધાદિ સર્વ ગદ્ય-લખાણો છે. ‘મારી હકીકત’ નામે આત્મકથા 1866માં એમણે પોતાના પૂરતી જ છપાવેલી, જાહેર પ્રકાશિત ન કરેલી, એ એમના અવસાન પછી, ગુજરાતી પ્રેસે 1933માં પ્રગટ કરી. નર્મદનું સંશોધન-સંપાદન પણ બહોળું છે. અપ્રતિમ ઉત્સાહ અને શાસ્ત્રીય સમજવાળા અવિરત શ્રમથી એમણે ‘પંગિળપ્રવેશ’(1857), ‘નર્મકથાકોષ’(1870), 1861થી આરંભેલો ‘નર્મકોશ’(શબ્દકોશ,1873), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (1873) અને એવાં બીજાં અનેક મહત્ત્વનાં વિદ્યાકાર્યો કર્યાં. એ ઉપરાંત ‘રાજ્યરંગ’(1874-76)માં પ્રાચીન-અર્વાચીન ઇતિહાસનું આલેખન છે, ‘ધર્મવિચાર’(1885)માં ધર્મ અને શ્રદ્ધાની એમને નવી લાધેલી દૃષ્ટિને નિરૂપતા નિબંધો છે.

રામનારાયણ પાઠક જેવા આપણા ઉત્તમ વિવેચકે નર્મદને ‘અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા’ તરીકે ઓળખાવ્યા છે એ સર્વથા ઉચિત છે.


– રમણ સોની