પરમ સમીપે

કુન્દનિકા કાપડીઆ : સંપાદક

આમ તો, પ્રાર્થના એ અંતરતમનો અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે; પણ ક્યારેક ભાવો અને લાગણીઓને પોતાની અભિવ્યક્તિ માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે. એટલા માટે જ ઋષિઓ, સંતો, મહાન ભક્તો અને સામાન્ય જનો — સૌને કંઠેથી પરમાત્માને સીધી સંબોધતી વાણી ફૂટી છે. ઈશ્વર સાથે અંગત સંબંધ પર રચાયેલી આ પ્રાર્થનાઓમાં ભગવાન માટેનો પ્રેમ છે, એ પ્રેમનો આનંદ છે, હૃદયનું સમર્પણ છે, તો કપરી પળોમાં સહાયની માગણી અને અંધકારમાંથી પ્રકાશમાં જવાની અભીપ્સા પણ છે.
અમેરિકાનાં લેખિકા હેલન સ્ટીનર રાઇસનાં આવાં પ્રભુપ્રેમનાં કાવ્યોનું પુસ્તક એક વાર હાથમાં આવતાં, એના સહજ સરળ ઉદ્ગારોમાં રહેલા ઊંડા ભાવથી હૃદય ભીંજાયું, ત્યારે થયું, કે આપણે ત્યાં પ્રાર્થનાનો ભાવ વ્યક્ત કરતા શ્લોકો, સ્તોત્રો, સ્તુતિઓ, કાવ્ય-રચનાઓ છે, પણ રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોને બાદ કરતાં, ભગવાન સાથે સીધી વાત કરતી, આત્મ-નિવેદનાત્મક રચનાઓ ઓછી જોવા મળે છે. એ પ્રકારનો સંગ્રહ ગુજરાતીમાં તો કદાચ એક પણ નથી.
આ વિચાર પરથી આવું એક સંકલન તૈયાર કરવાની ઇચ્છા થઈ. પરિણામ : પરમ સમીપે.
આ સંકલનની પ્રાર્થનાઓ પાંચ વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગ(૧-૧૦)માં વૈદિક-પૌરાણિક પ્રાર્થનાઓ છે; બીજા વિભાગ(૧૧-૩૫)માં સંત જ્ઞાનેશ્વરથી ગુરુદયાળ મલ્લિક સુધીના પ્રસિદ્ધ સંતો-ભક્તોના ઉદ્ગારો છે; ત્રીજા વિભાગ(૩૬-૪૭)માં મુખ્યત્વે વિદેશી લેખકો-કવિઓનું ભાવ-નિવેદન છે. ચોથા વિભાગ(૪૮-૮૨)માં તથા પાંચમા વિભાગ(૮૩-૯૯)માં જે રચનાઓ છે તેમાં કેટલીક મેં સ્વતંત્રપણે રચેલી અને કેટલીક પ્રાર્થનાને લગતાં અનેક અંગ્રેજી પુસ્તકો વાંચ્યાં તેની છાયા હેઠળ રચાયેલી છે. પાંચમા વિભાગની રચનાઓ વિશેષ પરિસ્થિતિ, પ્રસંગ કે વ્યક્તિને અનુલક્ષીને છે. આ માટે જે પુસ્તકોની મને મદદ મળી તેમાં ધ પ્રેયર્સ આઈ લવ (સં. : ડેવિડ રેડિંગ); પ્રેયરફુલી (હેલન સ્ટીનર રાઇસ); ધ પ્લેઇન બુક ઑફ પ્રેયર્સ (વિલિયમ બાર્કલે), અ વુમન્સ બૂક ઑફ પ્રેયર્સ (રીટા સ્નોડન), પ્રેયર્સ ઑફ લાઇફ (મિચેલ ક્વોઇસ્ટ) વગેરે પુસ્તકોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. આ ઉપરાંત યુનિવર્સલ પ્રેયર્સ (સ્વામી યતીશ્વરાનંદ), રુદ્રાષ્ટાધ્યાયી, ભાગવત, ભારત કે સંત મહાત્મા (રામલાલ), કલ્યાણ-વિશેષાંક, પ્રાર્થનાપ્રસાદ (પ્ર. શારદાગ્રામ), ગીતાંજલિ-નૈવેદ્ય (રવીન્દ્રનાથ ટાગોર), આશ્રમ-ભજનાવલિ તથા ‘નવનીત’ (ગુજરાતી ડાયજેસ્ટ)ના અઢાર વર્ષના અંકોમાંથી પણ રચનાઓની પસંદગી કરી છે; તે માટે તે-તે પુસ્તકોના સંપાદકો-પ્રકાશકોની આભારી છું. શ્રી અરવિંદ આશ્રમ (પૉન્ડિચેરી)એ માતાજીના ‘પ્રેયર્સ ઍન્ડ મેડિટેશન’ પુસ્તકની ત્રણ પ્રાર્થનાઓનો ‘દક્ષિણા’માં પ્રગટ થયેલો અનુવાદ લેવા માટે આપેલી મંજૂરી બદલ તેમનો પણ આભાર માનું છું. ઉપર ઉલ્લેખેલાં કેટલાંક પુસ્તકો સુલભ કરી આપવા માટે સુહૃદ શ્રી હમીર વિસનજી તથા અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયના શ્રી જગુભાઈ શેઠની પણ હું આભારી છું.
શ્રી જયવદનભાઈ તક્તાવાલાએ, કેવળ ઉત્તમ પુસ્તકો માટેની પ્રીતિથી, આ પુસ્તક મુંબઈના મૌજ પ્રિન્ટિંગ બ્યૂરો જેવા ઉત્તમ પ્રેસમાં છપાવવા છતાં, પ્રમાણમાં સસ્તી કિંમતે પ્રગટ કર્યું છે તે માટે તેમનો અને શ્રી ઇન્દ્રજિત મોગલે પોતાની વિશિષ્ટ ચીવટ વડે પ્રૂફવાચન કરવા ઉપરાંત પુસ્તક-નિર્માણની સંપૂર્ણ પ્રક્રિયા પર અંગત દેખરેખ રાખી છે તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
પ્રાર્થના જીવનનું બળ છે. વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા, ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના, તેની સ્થિતિમાંથી ઉપર ઊંચકી લઈ એક મહત્ ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. મને માત્ર શ્રદ્ધા જ નહિ, પ્રતીતિ છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે અને પોતાની રીતે તેનો જવાબ પણ વાળે છે. આ પુસ્તક વાંચતાં પ્રભુ પ્રત્યેની એવી અભિમુખતા જાગશે એવી આશા રાખું છું.

–કુન્દનિકા કાપડીઆ

કુન્દનિકા કાપડીઆ : સંપાદક

કુન્દનિકા કાપડિયા (જ. 11 જાન્યુઆરી 1927, લીંબડી; અ. 30 એપ્રિલ 2020, વલસાડ) : અગ્રણી ગુજરાતી વાર્તાકાર. પિતાનું નામ નરોત્તમદાસ, પતિ મકરંદ દવે. ઉપનામ ‘સ્નેહધન’. વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રારંભનું પ્રાથમિક-માધ્યમિક કક્ષાનું શિક્ષણ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં. 1948માં ભાવનગરમાંથી બી.એ. થયાં. મુખ્ય વિષયો રાજકારણ અને ઇતિહાસ. ‘યાત્રિક’ અને ‘નવનીત’નાં સંપાદક તરીકેની ઊજળી કામગીરી પણ તેમણે બજાવી હતી. સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને 1985માં પ્રાપ્ત થયો.

તેમનું રસક્ષેત્ર વૈવિધ્યભર્યું રહ્યું છે. જીવન અને જગત પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અપાર વિસ્મયોથી ભરેલો છે. શેક્સપિયર અને ઇબ્સન જેવા વિદેશી નાટ્યકારો અને શરદચંદ્ર તેમજ રવીન્દ્રનાથ જેવા બંગાળી લેખકો ઉપરાંત ધૂમકેતુ જેવા ગુજરાતી લેખકો તેમની રસ-રુચિને અનેકશ: સંકોરતા રહ્યા છે. તેથી સ્વાભાવિક રીતે તેમના લેખન ઉપર તેઓનો પ્રભાવ વિસ્તરતો જણાય. ‘પ્રેમનાં આંસુ’ (1954), ‘વધુ ને વધુ સુંદર’ (1968), ‘કાગળની હોડી’ (1978) અને ‘જવા દઈશું તમને’ (1983) તેમના પ્રમુખ વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓમાં માનવસતવેદનાના કોઈક ને કોઈક અંશને હૃદ્ય રીતે ઉઠાવ મળતો જણાય છે. પ્રેમ, પ્રકૃતિ, સંગીત અને ચિંતન જેવાં તત્ત્વો તેમની વાર્તાઓમાં એક યા બીજી રીતે બળ પૂરતાં રહે છે. તેમનાં પાત્રો લાગણીશીલ છે.

‘પરોઢ થતાં પહેલાં’ (1968), ‘અગનપિપાસા’ (1972), ‘સાત પગલાં આકાશમાં’ (1984) તેમની મુખ્ય નવલકથાઓ છે. પ્રારંભની બંને નવલકથાઓ મનુષ્યના ભીતરને સુપેરે ઉદ્ઘાટિત કરી આપે છે. એ માટે બહિર્ વાસ્તવ અને એના ઘટનાપ્રસંગોને તેમણે ખપમાં લીધાં છે, પણ તે દ્વારા માણસના મૂલ સ્રોતને જ પકડવાનો ને નિરૂપવાનો તેમનો ઉપક્રમ રહ્યો છે. માનવ છેવટે પોતાના ઉપર જ આવીને ઠરીઠામ થાય છે, આનંદરૂપ નાભિ-કસ્તૂરીને પામે છે અને હૃદયની સત્તા જ પર્યંતે સર્વેસર્વા બની રહે છે, એવો તાર એ કૃતિઓમાંથી પકડી શકાય છે.

સાહિત્ય અકાદમી, દિલ્હી-પુરસ્કૃત ‘સાત પગલાં આકાશમાં’ પ્રમાણમાં કંઈક જુદી પડતી નવલકથા છે. ભિન્ન ભિન્ન રીતે ઊહાપોહ જગવી ચૂકેલી આ કૃતિમાં નારીશોષણની સામે સામાજિક વિદ્રોહની વાત કેન્દ્રમાં રહી છે. સ્ત્રી જુદે જુદે રૂપે કેટલું અને કેવું સહન કરતી આવી છે તે અહીં અનેક સ્ત્રીઓ અને તેમના પરિવાર દ્વારા અભિવ્યક્ત થયું છે. આ સમસ્યાપ્રધાન કૃતિમાં હેતુ કંઈક આગળ રહે છે અને કલાતત્ત્વ પાછળ. આમ છતાં એનું ચોક્કસ દસ્તાવેજી મૂલ્ય રહ્યું છે.

‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’માં તેમણે ભાવપૂર્ણ નિબંધો આપ્યા છે. પ્રકૃતિ, પંડ અને બ્રહ્માંડમાંથી સારવી લીધેલી કેટલીક ક્ષણોને અહીં રોચક શબ્દરૂપ મળ્યું છે.

ઉપરાંત શ્રીમતી લૉસ ઇંગ્લસ વાઇલ્ડરની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’; મેરી એલન ચેઝનાં શૈશવનાં સ્મરણોનો અનુવાદ ‘દિલભર મૈત્રી’; બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસવર્ણનનું ભાષાન્તર ‘પૂર્ણકુંભ’ તેમની પાસેથી મળ્યાં છે.

‘દ્વાર અને દીવાલ’ તેમજ ‘પરમ સમીપે’ અનુક્રમે તેમના પ્રકીર્ણ લેખો અને પ્રાર્થનાસંકલનના સંગ્રહો છે. વલસાડથી ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ આશ્રમ સ્થાપીને કુન્દનિકાબહેન અને મકરંદભાઈએ આદિવાસી સમાજની સેવા આરંભેલી; પરંતુ ઈ. સ. 2005માં મકરંદભાઈનું અવસાન થતાં એ આશ્રમનું સંચાલન કુન્દનિકાબહેન કરતા હતા.

— પ્રવીણ દરજી
‘ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર