‘પ્રત્યક્ષ’ પત્રસેતુ
ડૉ. રતિલાલ કા. રોહિત : સંપાદક
પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે – દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચાઓ તે તે સમયના સાહિત્યની વિચારણાઓ, સંવાદો, વિવાદો, પ્રતિભાવો ને પ્રતિક્રિયાઓ, વિચારણીય ચર્ચાઓનો સંચારશીલ દસ્તાવેજ ગણાય છે.
'પ્રત્યક્ષ' પુસ્તકસમીક્ષાનું સામયિક હતું. એ કારણે વાચકો, લેખકો, સમીક્ષકો ને તે તે સમીક્ષાઓ વિશે વારંવાર ઘણું કહેવાનું થતું, વાદ સામે પ્રતિવાદ પણ થતાં, 'પ્રત્યક્ષ' વિશે પણ પ્રતિભાવો આવતા.
આ સર્વ પત્રચર્ચાઓને આ પુસ્તક યોગ્ય આયોજન અને વિભાજનથી રજૂ કરે છે. એથી એ સમયગાળા (૧૯૯૧થી ૨૦૧૭) દરમ્યાનનાં સાહિત્યકારો-વાચકોનાં વલણોનો એક સુબદ્ધ ને ભાતીગળ નકશો એમાં મળે છે.
પત્રચર્ચા કોઈ ને કોઈ રીતે રસપ્રદ પણ બનવાની. સમય જતાં એ રસપ્રદતાનાં રૂપો પણ બદલાવાનાં.
એકસાથે મળતી આ પત્રચર્ચાઓ આજના વાચકને માટે વિશેષ આસ્વાદ્ય તેમજ વિચારણીય બને છે.
સંપાદક ડૉ. રતિલાલ કા. રોહિતે ઘણાં સૂઝ અને શ્રમથી આ કાર્ય કર્યું છે એથી બીજાં સામયિકોમાંની પત્રચર્ચાઓ સંપાદિત કરવાની પ્રેરણા પણ નવી પેઢીના કોઈ અભ્યાસીને મળશે.
–પ્રકાશક
ડૉ. રતિલાલ કા. રોહિત : સંપાદક
રતિલાલ કા. રોહિત ગુજરાતી વિષયના સંનિષ્ઠ અધ્યાપક અને અભ્યાસી છે. તેઓએ પ્રો. પરમ પાઠકના માર્ગદર્શનમાં ‘ગુજરાતી લોકસાહિત્યનાં સંશોધન-સંપાદનમાં પારસીઓનું પ્રદાન’ વિષય પર Ph.D. (૨૦૧૦-૨૦૧૬) નિમિત્તે શોધકાર્ય કર્યું છે. આ દરમિયાન પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ગુજરાતી વિષયના વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક તથા મદદનીશ શિક્ષક તરીકે પાંચ વર્ષ કામ કર્યું. ત્યાર બાદ GPSC દ્વારા લેવાયેલ પરીક્ષા પાસ કરીને એપ્રિલ, ૨૦૧૮થી આસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી) તરીકે સરકારી કૉલેજમાં ફરજ બજાવે છે. હાલ તેઓ સરકારી વિનયન કૉલેજ, ગાંધીનગરમાં કાર્યરત છે.
એમને ભાષાવિજ્ઞાન, સંશોધન, સંપાદન, વિવેચન, સૂચીકરણ જેવા વિષયોમાં કામ કરવાનું વિશેષ ગમે છે. એટલે અધ્યાપનની સાથે-સાથે વાચન-લેખન અને સંશોધન-સંપાદનનું કામ પણ થતું રહે છે. આ વાચન-લેખન, સંશોધન-સંપાદનનાં પરિણામ રૂપ એમના ૪૫ જેટલા સંશોધન-વિવેચન લેખો ગુજરાતીનાં વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. એમનાં પાંચ પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે: ૧. શિક્ષણયાત્રાના સાથી, ૨. વાત આપણાં દલિત સાહિત્યની, ૩. શબ્દશુદ્ધિ, ૪. જૉસેફ મેકવાનકૃત ‘વ્યથાનાં વીતક’: નવ રેખાચિત્રો - અભ્યાસ અને આસ્વાદ, ૫. વ્યવહારભાષા અને ભાષાસજ્જતા, તથા ૬. ગુજરાતી ભાષા-વ્યાકરણ સંગ વ્યક્તિનામ (પ્રકાશ્ય).