સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૨

રમણ સોની : સંપાદક

કૃતિસંદર્ભ

સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશમાં ‘ખંડ:૧ કર્તાકોશ’ પછી આ ‘ખંડ:૨ કૃતિકોશ’ ગુજરાતી સાહિત્યની કૃતિઓની સમયાનુક્રમે સ-સંદર્ભ વિગતો આપે છે.

આ કોશખંડમાં, ઈ. ૧૮૦૮થી આરંભીને ઈ. ૨૦૧૩ સુધી અને ક્રમશ: સામ્પ્રત સમય સુધી વિસ્તરનારી કૃતિવિગતો કાલાનુક્રમે, દાયકાવાર મૂકવામાં આવી છે. જેમકે, ૧૮૫૧-૧૮૬૦,... ૧૯૦૧-૧૯૧૦,... ૨૦૦૧-૨૦૧૦... વગેરે. આ વર્ગીકરણ સ્વરૂપવાર કરેલું છે. પહેલો વિભાગ ‘કવિતા’(૧૮૪૮થી આરંભીને) ને છેલ્લો વિભાગ ‘અન્ય : વ્યાપક’ એમ કુલ ૨૧ સ્વરૂપ-વિભાગોમાં ગુજરાતીની ૩૦ હજારથી પણ વધુ કૃતિઓની વિગતો અહીં સમયાનુક્રમે રજૂ કરવામાં આવી છે.

દરેક વિભાગને આરંભે એ સ્વરૂપના વ્યાપને દર્શાવતી માર્ગદર્શક વિગતો આપી છે જેથી તે તે સ્વરૂપની સમયદર્શી બાબતોને યોગ્ય રીતે જોઈ શકાય. અનુક્રમ જોવાથી કોશનું વિભાજન કેવું વાચક-સહાયક(user friendly) રહ્યું છે એનો ખ્યાલ આવશે.

કોઈપણ સમયખંડમાં—એટલે કે યુગમાં—તે તે સ્વરૂપની કેવી, કેટલી કૃતિઓ રચાયેલી એની, દાયકાવાર વિગતો સંશોધકો, અભ્યાસીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પત્રકારોને વાચન-અધ્યયન માટે ઉપયોગી નીવડશે.

આનંદ એ વાતનો પણ છે કે નવી તેમજ ખૂટતી વિગતો સતત ઉમેરતાં જઈને કોશને સદ્યતન(update) કરવાનું સંદર્ભવિદ્ અનંત રાઠોડે સ્વીકાર્યું છે. હું એમનો આભારી છું.

—રમણ સોની

રમણ સોની : સંપાદક

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી  વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા  પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

(પરિચય – કિશોર વ્યાસ)