સત્યના પ્રયોગો

મોહનદાસ કરમચંદ ગાંધી

સત્યના પ્રયોગો અથવા આત્મકથા (૧૯૨૭)

આ પુસ્તકનાં આવાં બે શીર્ષકોમાં ગાંધીજીને મન તો પહેલું જ વધુ મહત્ત્વનું હતું. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે ‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.’ આ કથામાં ઇ. ૧૯૨૦ સુધીનું ગાંધીજીનું જીવન આલેખન પામ્યું છે. જીવનમાં જે જે બન્યું ને જે જે લાગણી-વિચાર મનમાં જનમ્યાં તે બધું એમણે સત્યના દીવા સામે ધરી દીધું છે એટલે કોઇએ આ આત્મકથાને ‘નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો’ કહીને ઓળખાવી છે. સાદી સરળ ને અસરકારક બનતી ભાષા, નિખાલસ, પારદર્શક, સ્પષ્ટ નિરૂપણ આ કથાનું સત્ત્વ અને સૌંદર્ય બન્ને છે. ગુજરાતીની જ નહીં, દુનિયાભરની ઉત્તમ આત્મકથાઓમાં એનું ઊજળું સ્થાન છે.

મોહનદાસ કરમચંદ ગાંધી

મોહનદાસ કરમચંદ ગાંધી (૨,ઑક્ટોબર ૧૮૬૯ – ૩૦,જાન્યુઆરી ૧૯૪૮)આમ તો સતત લખતા રહેલા પત્રકાર-લેખક ગણાય. ‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘નવજીવન’, ‘યંગઇન્ડિયા’, ‘હરિજનબંધુ’, વગેરે દ્વારા એમણે પોતાના વિચારો અને પોતાનો જીવનસંદેશ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આખી દુનિયાને પહોચાડ્યાં. પોતાને લાધેલા સત્યને એ કઠોર પ્રયોગો દ્વારા ચકાસતા ગયા એનું આલેખન એમનાં ઘણાં પુસ્તકોમાં પણ મળશે. એમનો નક્કર અવાજ સરળ પણ અસરકારક અને કદીક માર્મિક ગદ્યમાં ઊતર્યો છે એથી ગાંધીજીનાં એવાં લખાણો સાહિત્યનો મોભો પણ પામ્યાં છે. એમનાં કેટકેટલાં પુસ્તકોમાંથી ‘હિંદસ્વરાજ(૧૯૦૮),’ ‘સત્યનાપ્રયોગો(૧૯૨૭)’, ‘મંગલ પ્રભાત(૧૯૩૦)’, ‘કેળવણીનો કોયડો(૧૯૩૮)’, વગેરેને જુદાં તારવીશકાય.

ગાંધીજીનું જીવન અને કાર્ય એટલાં બધાં જાણીતાં છે કે એ વિશે લખવું અનાવશ્યક છે.

પરિચય: રમણ સોની