શાંત કોલાહલ

રાજેન્દ્ર શાહ

શાંત કોલાહલ (૧૯૬૨) : રાજેન્દ્ર શાહના આ કાવ્યસંગ્રહની છ્યાસી રચનાઓમાં છંદ, લય, વિષયોનું વૈવિધ્ય સારા પ્રમાણમાં સધાયું છે. સંગ્રહનું મહત્ત્વનું સર્જન ‘રાગિણી’નું આઠ સૉનેટટનું ગુચ્છ છે. સંગીતના વિવિધ રાગનાં આ શબ્દચિત્રોમાં કવિએ દામ્પત્યજીવનની પ્રસન્નતાને પ્રગટ કરી છે. આવું જ નોંધપાત્ર બીજું અઢાર ગીતોનું ગુચ્છ છે ‘વનવાસીનાં ગીત’. આ ગુચ્છમાં કવિએ વનવાસીના જીવનના મુગ્ધ-મધુર ભાવોને વિવિધ લયમાં અભિવ્યક્ત કર્યા છે. ‘છલનિર્મલ’, ‘મેડીને એકાંત’, ‘સ્વપ્ન’, ‘ફેરિયો અને ફક્કડ', ‘મારું ઘર’, ‘શાંત કોલાહલ’, ‘ધરુ' જેવાં ઉત્તમ કાવ્યો સંગ્રહની ગુણવત્તાને વધારે છે. આ સંગ્રહમાં કવિએ પ્રયોગશીલ વલણ પણ દાખવ્યું છે. ‘છલનિર્મલ’ જેવી કૃતિમાં મનહરને પરંપરિત કરીને ગદ્યના સારલ્યનો લાભ લેવાયો છે.

– પ્રસાદ બ્રહ્મભટ્ટ
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)

રાજેન્દ્ર શાહ