‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો

મધુસૂદન કાપડિયા

સાહિત્યમર્મજ્ઞ મધુસૂદન કાપડિયાના સ્વાધ્યાયના પરિપાકરૂપ આ પુસ્તકમાં પચીસ જેટલા વિવેચનલેખો, કેટલાક હેવાલો અને લેખકના પોતાના વિશેના અન્યોના પ્રતિભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસંગોપાત્ત લેખકે પ્રગટ કરેલાં ચર્ચાપત્રોનો પણ અહીં સમાવેશ છે. લેખકે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી છે એમ, 'આત્મસ્તુતિના આરોપનો ભય વહોરીને પણ એ પુસ્તકને અંતે સાચવ્યાં છે.' પ્રસ્તુત ગ્રંથમાંથી પસાર થતાં લેખકની જે મુદ્રા ઊભી થાય છે એ છે આકંઠ સાહિત્યરસિકની. એ રસની સાથે ભળે છે મર્મજ્ઞતા અને અભ્યાસનિષ્ઠા. એમનાં લખાણોમાં આ ત્રણેયનું રસાયણ સધાયેલું જોવા મળે છે. લેખકની આકંઠ સાહિત્યપ્રીતિના પરિપાક સમું આ પુસ્તક વાચકોને અને અભ્યાસીઓને નિરાશ કરે એવું નથી.

– સતીશ વ્યાસ

('પરબ', ફેબ્રુઆરી ૨૦૦૭)

મધુસૂદન કાપડિયા

મધુસૂદન કાપડિયા (જન્મ ૧૨-૯-૧૯૩૬ — અવ. ૨૨-૧૦-૨૦૨૩): મધુસૂદન કાપડિયાએ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી સંસ્કૃત અને ગુજરાતી બંને વિષયોમાં એમ. એ. સુધીનો અભ્યાસ કર્યો. સૌથી પહેલાં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. ૧૦ વર્ષ સુધી મુંબઈની વિવિધ કૉલેજોમાં અધ્યાપન કરાવ્યા પછી યુનિવર્સિટી ઑવ પેન્સિલવેનિયા ખાતે કામ કરવા માટે ફુલ બ્રાઇટ સ્કોલરશિપ મળી, અને તેઓ અમેરિકા ગયા. જ્યાં તેમણે ભાષાશાસ્ત્ર અને પુસ્તકાલય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ટ્રેન્ટન યુનિવર્સિટી, એટી એન્ડરી આદિ સંસ્થાઓમાં ૨૫ વર્ષ સુધી માહિતી પરામર્શક તરીકે કાર્ય કર્યું. ગુજરાતી લિટરરી અકાદમીના પૂર્વપ્રમુખ તરીકે કાર્ય કરેલું.

અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને સંવર્ધન માટે મધુસૂદન કાપડિયા કાર્યરત રહ્યાં છે. તેમની પાસેથી ત્રણ વિવેચનસંગ્રહો 'અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો' (૨૦૧૧), 'વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો' (૨૦૧૫) અને 'મારી છાજલીએથી અને બીજા વિવેચનલેખો' (૨૦૧૫) મળે છે.

—'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' (ગ્રંથ ૮ : ખંડ ૨)માંથી સાભાર