વિજ્ઞાનવિચાર

પોપટલાલ ગોવિંદલાલ શાહ

મૂળ ૧૯૨૬માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ (હાલની ગુજરાત વિદ્યાસભા) છાપેલાં પુસ્તકની આ સંવર્ધિત ત્રીજી આવૃત્તિ ગુજરાત સંશોધન મંડળે ૧૯૪૭માં છાપી છે જેમાં નવી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જૂની માહિતી કાઢી નાંખી છે તેમ જ ધર્મ અને તત્વજ્ઞાનના પ્રશ્નોની નવેસરથી છણાવટ કરવા માટે તેવા પ્રકરણો પણ કાઢી નાંખ્યા છે. આ પુસ્તક બોમ્બે યુનિવર્સિટીએ પાઠ્યપુસ્તક તરીકે પસંદ કર્યું હતું.[1] સુઘડ વિચારધારામાં પ્રસ્તુત વિજ્ઞાન વિશેનું આ પુસ્તક તત્કાલીન સંજોગોમાં અત્યંત ઉપયોગી સાબિત થયું હોવું જોઈએ.

 

[1] ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’, સંયોજક: પોપટલાલ ગોવિંદલાલ શાહ, ગુજરાત સંશોધન મંડળ, મુંબઈ, ૧૯૪૯, પા. ૬

પોપટલાલ ગોવિંદલાલ શાહ

પોપટલાલ ગોવિંદલાલ શાહ (૧૮૮૮-૧૯૬૯) ગુજરાતની બહુમુખી પણ અપ્રસિદ્ધ અને વિસ્મૃત પ્રતિભાઓમાંના એક છે. વડોદરામાં જન્મેલા પોપટલાલને મહારાજા સયાજીરાવને હાથે શાળામાં ઇનામ મળેલું. મુંબઈની વિલ્સન કોલેજમાંથી રસાયણશાસ્ત્રની બી.એ. અને એમ. એસસી.ની ઉપાધિઓ મેળવી. નારાયણ વાસુદેવ સ્કોલરશીપ અને જેમ્સ ટેલર પ્રાઈઝથી નવાજિત પોપટલાલ રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે ૧૯૧૦માં લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં જોડાયા હતા. ૧૯૧૪માં ઇન્ડીયન ઓડીટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં જોડાયા અને દ્વિભાષી મુંબઈ રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ તરીકે ૧૯૪૩માં નિવૃત્ત થયા. ૧૯૩૬માં પોતે જ સ્થાપેલા ગુજરાત સંશોધન મંડળનું (ગુજરાત રિસર્ચ સોસાયટી) નિવૃત્તિના ૨૬ વર્ષમાં જતન કર્યું અને ગુજરાતની આદિવાસી જાતિઓ વિશે સંશોધન કર્યું. આ સંસ્થાના ત્રૈમાસિક સામયિકના (જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટી) તેઓ ઘણાં વર્ષો સુધી તંત્રી રહ્યા હતા. તેઓ ૧૯૨૦થી ગુજરાતી સાહિત્ય પરિષદની સાથે જોડાયેલા રહ્યા હતા અને ૧૯૩૬માં વિજ્ઞાન વિભાગના અને ૧૯૬૫માં સમાજવિદ્યા વિભાગના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૩૩માં રવીન્દ્રનાથ ટાગોર મુંબઈ આવેલા ત્યારે તેમને મળીને વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ અંગે ચર્ચા કરેલી. ગુજરાત, ગુજરાતીઓ, ગુજરાતી ભાષા, ગુજરાતના આદિવાસીઓના તેઓ હિતચિંતક હતા. તેઓ ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં લખતા. તેમના પ્રકાશનોમાં વિજ્ઞાનવિચાર, વિજ્ઞાનવિનોદ, વિજ્ઞાનવિહાર, વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ, ટ્રાઇબલ લાઈફ ઓફ ગુજરાત, એથનિક હિસ્ટરી ઓફ ગુજરાત, નાયકાસ-નાયકડાસ: એ ગુજરાત ટ્રાઇબ, વિમુક્ત જાતિઝ: ડીનોટીફાઈડ કમ્યુનીટીઝ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા મુખ્ય કહી શકાય.