યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા

નિરંજન ભગત

અધૂરું છતાં અગત્યનું, સુસંસ્કૃત પણ (કદાચ) વિસ્મૃત(?) પુસ્તક

જેની વાત છે તે પુસ્તકનું નામ જાણીતું છે અને જિજ્ઞાસા જગાડે તેવું રસપ્રદ છે. આશ્ચર્યની વાત તો એમ છે કે તેનું સંપૂર્ણ અને સાચું નામ પણ ક્યાંય છપાયું નથી! વધુ આશ્ચર્યની વાત એ છે કે ચીવટ અને ઝીણવટ માટે જાણીતા તેના લેખકનાં અન્ય પુસ્તકમાં છપાયેલી યાદીમાં પણ તેનું નામ અધૂરું (અને તેથી ખોટું કહી શકાય!) છપાયું છે. જેના પ્રકાશનની જાહેરાત ૧૯૭૪માં એક સન્માનીય સમારંભમાં થઈ હતી અને જેનું પ્રકાશન ૧૯૭૫માં વોરા એન્ડ કંપનીએ કર્યું હતું તે નિરંજન ભગત લિખિત પુસ્તકનું સંપૂર્ણ (અને તેથી સાચું) નામ છે: ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા: પૂર્વાર્ધ’.

આ શીર્ષકનો અંતિમ શબ્દ, ‘પૂર્વાર્ધ’, પુસ્તકના મુખપૃષ્ઠ અને અંદરના પ્રથમ પાના સિવાય ક્યાંય જોવામાં આવ્યો નથી. પ્રકાશનની વિગતો આપતાં પાનાં ઉપર પણ અંગ્રેજીમાં છાપેલી વિગતોમાં પણ તેને સ્થાન નથી મળ્યું. નિરંજન ભગત લિખિત, ૨૦૦૪માં ગૂર્જર પ્રકાશિત, ‘સાહિત્યચર્યા’માં પણ ‘નિરંજન ભગતની અન્ય કૃતિઓ’ નીચે છપાયેલી સૂચિમાં પણ આ શબ્દ વર્જિત છે. જેથી કોઈ પણ વાચક પુસ્તકના ‘ઉત્તરાર્ધ’ની અથવા બીજા ભાગની અપેક્ષા રાખે જ નહીં. અને જો કોઈ વાચક પુસ્તક મેળવીને તેના મુખપૃષ્ઠ કે અંદરનાં પહેલાં પાનાં ઉપરનું શીર્ષક ધ્યાનપૂર્વક વાંચીને ‘ઉત્તરાર્ધ’ અથવા બીજો ભાગ શોધવા પ્રયત્ન કરે તો તેને નિરાશ થવા સિવાય છૂટકો નથી કારણ કે ‘ઉત્તરાર્ધ’ અથવા બીજો ભાગ છપાયો જ નથી અને તેની ક્યાંય નોંધ લેવાયેલી નજરે નથી ચડી!

પુસ્તક વિશે થોડીક ઐતિહાસિક વિગતો જોવાનું રસપ્રદ થઈ પડશે. ૧૯૬૯નો રણજીતરામ સુવર્ણચંદ્રક નિરંજન ભગતને અપાયો હતો. ૧૯૭૪માં ચંદ્રકની અર્પણવિધિના કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ આપતાં નિરંજન ભગતે કહ્યું હતું,

‘આજના પ્રસંગે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ વિશે વ્યાખ્યાન કરવું એવું વિચાર્યું હતું. એ અંગેનું લખાણ જેમ જેમ લખાતું ગયું તેમ તેમ વિસ્તરતું ગયું. અને અંતે તેનું નિબંધનું સ્વરૂપ થયું. એ સમગ્ર લખાણ સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રસિદ્ધ થશે.’

આ જ વાત આગળ વધારતા, ૧૯૭૫માં પ્રગટ થયેલા, ઉપરોકત ‘પૂર્વાર્ધ’માં લેખક કહે છે:

‘આ નિબંધમાં કુલ સાત ખંડો છે. એમાંથી અહીં પ્રથમ પાંચ ખંડો નિબંધના પૂર્વાર્ધ રૂપે પ્રસિદ્ધ થાય છે. . . . બાકીના બે ખંડો આ નિબંધના ઉત્તરાર્ધ રૂપે હવે પછી પ્રસિદ્ધ થશે.’

આજ સુધી ‘ઉત્તરાર્ધ’ પ્રસિદ્ધ થયો નથી. ‘ઉત્તરાર્ધ’ વિનાના ‘પૂર્વાર્ધ’ને, અને શીર્ષકમાં ‘પૂર્વાર્ધ’નો ઉલ્લેખ ન કરતા પુસ્તકને અધૂરું પુસ્તક કહેવામાં કોઈ અનૌચિત્ય નથી.

સહજ રીતે પ્રશ્ન થાય કે એક અધૂરાં પુસ્તકને ‘અગત્યનું’ અને ‘સુસંસ્કૃત’ જેવાં વિશેષણોથી નવાજવા માટેનાં કારણો શું છે? એના જવાબમાં હું વાચકનું ધ્યાન પ્રસિદ્ધ થયેલા ‘પૂર્વાર્ધ’ના અનુક્રમ પ્રતિ દોરીશ:

‘અનુક્રમ

ખંડ ૧ પ્રાસ્તાવિક

ખંડ ૨ યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નો

ખંડ ૩ યંત્રવિજ્ઞાનનો ઈતિહાસ: ઔદ્યોગિક ક્રાંતિ

ખંડ ૪ ઔદ્યોગિક ક્રાંતિ: ભારતવર્ષની ત્રિવિધ પરાધીનતા

ખંડ ૫ ઔદ્યોગિક ક્રાંતિ: ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓ’

અંતિમ ચાર ખંડનાં શીર્ષકો જ સમગ્ર પુસ્તક પ્રતિ કુતુહલ જાગૃત કરે તેવાં છે. સાથે જયારે નિરંજન ભગત જેવા ઈતિહાસ-રસિક અને વિદ્વાન સાહિત્યકારનું નામ જોડાયેલું હોય ત્યારે આ પુસ્તક વાંચવાની જિજ્ઞાસા વધી જાય તેમાં આશ્ચર્ય નથી. યંત્રવિજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્યને એક સાથે પ્રસ્તુત કરતું અન્ય કોઈ પુસ્તક ગુજરાતીમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.

પુસ્તક વાંચતાં, સુજ્ઞ વાચક વિગતોનાં પ્રાચુર્યથી, તર્કબદ્ધ વિચારધારાથી, વાગ્મિતાસભર વાણીના પ્રવાહથી, વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ અને તારણથી પ્રભાવિત થાય એમાં શંકાને સ્થાન નથી. યંત્રવિજ્ઞાનની વ્યાખ્યાથી આરંભ કરી તેના વિકાસના ઇતિહાસનો (પ્રાગ્-ઐતહાસિક યુગથી વર્તમાન સુધીનો) આલેખ કરી, ઔદ્યોગિક ક્રાંતિનું ઐતિહાસિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં વિગતવાર આલેખન કરીને લેખક ભારતને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સાંકળી લે છે. ભારતના તત્કાલીન રાજકારણને કારણે ઔદ્યોગિક ક્રાંતિની ભારત ઉપર થયેલી આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક અસરનું વર્ણન અને વિશ્લેષણ કરીને લેખક અંતે ગુજરાતી સાહિત્યની ‘પાંચ ગદ્યપદ્યકૃતિઓ’નું – દલપતરામનું ‘હુંનરખાનની ચઢાઈ’, ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’, રણજિતરામનું ‘માસ્તર નંદનપ્રસાદ’, બલવન્તરાય ઠાકોરનું ‘ઇતિહાસ દિગ્દર્શન’ અને ઉમાશંકર જોશીનું ‘આત્માનાં ખંડેર’ – તત્કાલીન સંજોગોના સંદર્ભમાં વિશ્લેષણ અને વિવેચન કરે છે. [1]

યંત્રવિજ્ઞાનનો અને ઔદ્યોગિક ક્રાંતિનો ઇતિહાસ, તેના સમાજ અને અર્થકારણ તેમ જ ભારતના રાજકારણ, અર્થકારણ અને સંસ્કૃતિ ઉપર પડેલા પ્રભાવને સમજ્યા પછી, ગુજરાતી સાહિત્યની પાંચ કૃતિઓમાં ઝીલાયેલી તેની છાયાનો આસ્વાદ લીધા પછી – ટૂંકમાં, આખું પુસ્તક વાંચ્યા અને માણ્યા પછી, વાચક સ્વાભાવિક રીતે વિચાર કરે કે હજી તો બે ખંડ બાકી રહી ગયા છે – તો તેમાં શું આવવાનું હતું? એને યાદ કરવું પડે છે કે લેખકે ‘નિવેદન’માં કહ્યું હતું કે,

‘છઠ્ઠા ખંડમાં આજે યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિની પૂર્વસંધ્યાએ મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે અને એથી ભવિષ્યમાં, નિકટના જ ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ, મનુષ્ય અને સંસ્કૃતિનું સર્જન થશે ત્યારે સમસ્ત મનુષ્યજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો રજૂ થશે અને આ અંતિમ વિક્લ્પોમાં મનુષ્ય માત્રએ જે પસંદગી કરવાની રહેશે એ અંગે નો અંગુલિનિર્દેશ છે. સાતમા અને અંતિમ ખંડમાં યંત્રવિજ્ઞાન સાથે મંત્રકવિતાને શો સંબંધ છે? અને યંત્રવૈજ્ઞાનિક યુગ, મનુષ્ય, સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં મંત્રકવિતાનો શો ધર્મ છે? – આ ગહનગભીર પ્રશ્નો પૂછવાનું નર્યું સાહસ છે.’

જો ‘ઉત્તરાર્ધ’ છપાયો હોત તો આપણે નિરંજન ભગતને એક આર્ષદ્રષ્ટાના અવતારમાં જોયા હોત અને તેમની અભ્યસ્ત ભવિષ્યવાણીમાં યંત્રવૈજ્ઞાનિક યુગની પ્રગતિ અને તેની અસરનો અણસાર પામ્યા હોત તેમ જ આપણને ‘જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો’ની આગોતરા જાણ થઈ હોત. વધારે અફસોસ એ વાતનો છે કે ‘મંત્રકવિતા’ની વાત અધુરી રહી ગઈ. સદ્ભાગ્યે, લેખક સંક્ષિપ્તમાં મંત્રકવિતાની મહત્તા સમજાવે છે અને તેની ઝાંખી પણ કરાવતા જાય છે. બીજા ખંડનાં આરંભે, મંત્રકવિતાની મહત્તા સમજાવતાં તે કહે છે,

‘ . . . આપ સૌની જેમ હું પણ એક એવા યુગમાં જીવી રહ્યો છું કે જેમાં યંત્રવિજ્ઞાન અકલ્પ્ય ગતિથી અસંખ્ય પરિવર્તનો દ્વારા સમગ્ર મનુષ્યજીવનને એવું તો વ્યાપી વળ્યું છે કે કોઈપણ ક્ષણે સમસ્ત મનુષ્યજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવાં અંતિમ વિકલ્પો રજૂ કરશે એવો ભય અનુભવી રહ્યો છું. તો સાથે સાથે મંત્રકવિતા આ અંતિમ વિકલ્પોમાં મનુષ્ય માત્રએ જે પસંદગી કરવાની છે એમાં સહાયરૂપ થવાનો એનો ધર્મ બજાવશે એવી શ્રદ્ધા અનુભવી રહ્યો છું.’

પુસ્તકના અંતે ઉમાશંકર જોશીનાં બે કાવ્યો – ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’ – દ્વારા નિરંજન ભગત વાચકને મંત્રકવિતાની ઝાંખી કરાવતાં લખે છે,

‘ ‘વિશ્વશાંતિ’માં એક આદર્શ પ્રતિ અભીપ્સા છે. એમાં જે ભવનામયતા કાવ્યની એકતા રૂપ છે એ ભાવનામયતાને માનવજાતિએ વાસ્તવિકતા બનાવ્યા વિના છૂટકો નથી એવું દર્શન છે. એમાં . . . વિશ્વશાંતિ એ માનવનિયતિ છે એવું દર્શન છે. . . . ‘આત્માનાં ખંડેર’ . . . માં આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યની વાસ્તવિકતા છે, એમાં કેન્દ્રમાં વ્યક્તિની અશાંતિ છે. પણ આ વિશ્વશાંતિ અને આ વ્યક્તિની અશાંતિ વચ્ચે વિરોધ નથી. આ અશાંતિનો અનુભવ એ નરક છે પણ એના યથાર્થનો સ્વીકાર શોધન છે. . . . વ્યક્તિની અશાંતિના આ યથાર્થના સ્વીકાર દ્વારા જ વિશ્વશાંતિની શક્યતા છે. . . . ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’ એ સંક્રાંતિયુગની કવિતા છે. યંત્રવૈજ્ઞાનિક યુગમાં યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યના સંદર્ભમાં, હવે પછીની કવિતામાં ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’નો સમન્વય થશે. આ બન્ને પ્રકારની કવિતા એક કૃતિ રૂપે, એક-આકૃતિ રૂપે સિદ્ધ થશે. અને એ કવિતા યંત્રવિજ્ઞાનના સંદર્ભમાં મંત્રકવિતા હશે.’

આ અધૂરા પુસ્તકની ઉપરોક્ત રૂપરેખા તેને એક અગત્યના અને સુસંસ્કૃત પુસ્તક તરીકે સ્વીકારવા માટે પર્યાપ્ત છે. હવે વાત રહી અંતિમ વિશેષણ, ‘વિસ્મૃત’ની. લેખકનાં લખાણોની પ્રત્યેક સૂચિમાં સ્થાન પામતાં – ભલે અધૂરાં (અને તેથી ખોટા(!) શીર્ષકથી) - પુસ્તકને ‘વિસ્મૃત’ કહી શકાય? આ પુસ્તકનું નામ/શીર્ષક એકવાર જોયા/સાંભળ્યા પછી ભૂલાય એવું નથી. માટે, આ પુસ્તકનું નામ/શીર્ષક વિસ્મૃત નથી પણ પુસ્તક અવશ્ય વિસ્મૃત છે – ભૂલાઈ ગયું છે, કદાચ પ્રકાશનના થોડા જ સમય પછી ભૂલાઈ ગયું હશે. જો તેમ ન હોત તો તેના ઉત્તરાર્ધ માટે લેખક પાસે તકાદો થયો હોત, લેખકે પોતાના બચાવમાં તેનો જવાબ આપ્યો હોત ઈત્યાદિ. જેનો સંદર્ભ શક્ય નથી તેવી ‘જો’ અને ‘તો’ની વાત જવા દઈએ. આશ્ચર્યની વાત એ છે કે એકાદ બે અપવાદ [2] સિવાય આ પુસ્તકની સમીક્ષા કે અવલોકન ક્યાંય નજરે નથી પડતાં. એટલું જ નહીં, નિરંજન ભગતના સાહિત્યની વિસ્તૃત સ્વરૂપે વાત થતી હોય ત્યાં પણ આ પુસ્તક વિશે એક પંક્તિ પણ વાંચવા નથી મળતી. અલબત્ત, વિસ્મૃતિ જ જેની અનિવાર્ય અને નિશ્ચિત નિયતિ હોય તેવાં પુસ્તકો પણ છપાય છે અને તેની નોંધ ન લેવાય કે સમીક્ષા ન થાય તે સ્વાભાવિક અને કદાચ ઇચ્છનીય પણ છે. પણ યંત્રવિજ્ઞાનના ઇતિહાસથી આરંભ કરી તેના વ્યાપની મનુષ્યજીવન ઉપર પડતી અસર તેમ જ સાંસ્કૃતિક સ્તરે સાહિત્યમાં તેની છાયાની વાત કરતા ગુજરાતીના આભૂષણ સમાન આ પુસ્તકની અવગણનાના પાયામાં વિસ્મૃતિ સિવાય બીજું શું હોઈ શકે?

અંતમાં આ અધૂરા પણ અગત્યના અને સુસંસ્કૃત પણ વિસ્મૃત પુસ્તકની, જવલ્લે જ જોવા મળતી એક સમીક્ષામાં સમીક્ષક, પ્રફુલ્લ રાવલનું અંતિમ વિધાન ટાંકીને વિરમીશ:

‘મંત્રકવિતાનું દર્શન વ્યક્ત કરવાની નિરંજન ભગતની આ મથામણ સ્તુત્ય છે, પરંતુ દીર્ઘસૂત્રિતા મૂળને પામવામાં જાણે આડરૂપ બને છે. છતાંય વીસમી સદીની છેલ્લી પચ્ચીસીના આરંભે યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતાનો યોગ કરવા-શોધવા કરેલું આ તત્ત્વચિંતન ગુજરાતી વિવેચન સાહિત્યની સંપદા છે. એ દ્રષ્ટિએ આ કૃતિનું ઐતિહાસિક મૂલ્ય છે અને રહેશે.’

 

- શૈલેશ પારેખ

 

 

 

નિરંજન ભગત

નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે.

‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. ‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), ‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.

‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.


-ચંદ્રકાન્ત ટોપીવાળા